દુર્ઘટના@સુરેન્દ્રનગર: માર્ગ અકસ્માતની 4 અલગ-અલગ ઘટનામાં 2 લોકોના મોત, 7 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે બુધવારે સુરેન્દ્રનગર જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ચાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ર લોકોના મોત અને 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે લખતર પંથકમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, વઢવાણ અને ધાંગ્રધા-માલવણ રોડ પર એક્ટિવાચાલકને અડફેટે લીધા અને હાઇવે પર મેટાડોરનું ટાયર ફાટ્યુ હતુ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરેન્દ્રનગર જીલ્લ્લામાં બુધવારે સર્જાયેલા અકસ્માતની વાત કરીએ તો, લખતર તાલુકાના છારદ-ઓળખ ગામ વચ્ચે પિતા અને પુત્ર ટ્રેક્ટર લઈને ખેતરથી પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન ટ્રેક્ટરની ટક્કર એક ફોર વ્હીલર સાથે થઈ હતી. અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા બાદ ઘાયલ થયેલા પિતા-પુત્રને પહેલા લખતર અને બાદમાં 108 મારફતે સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. આ તરફ વઢવાણ કોઠારીયા રોડ પર એક્ટિવા ચાલકને ડમ્પરે અડફેટે લીધો હતો. આ બનાવમાં સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપર ગુરૂકુળ ધાંગધ્રા નજીક એક્ટિવા ચાલકને એક ટ્રાવેલ્સ ચાલકે અડફેટે લીધો હતો. જેમાં સ્કૂટર ચાલકનું બનાવ સ્થળે જ મોત થયું હતું. સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે મોત થતાં આસપાસના લોકોએ અમદાવાદ-કચ્છ હાઇવે બંધ કરી દીધો હતો. લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે દોડી રહેલા મેટાડોરનું ટાયર ફાટ્યું હતું. લીલું ઘાસ ભરેલું મેટાડોર પલટી જતાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. મેટાડોરમાં બેઠેલા 4 લોકોને 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા સમલા ગામના સરપંચ તેમજ અન્ય ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ લીંબડી વઢવાણ હાઈવે પરના ટ્રાફિક દૂર કરવાની પણ કામગીરી હાથ ધરી હતી.