ઘટસ્ફોટ@ઊંઝા: ગઇકાલે મૃત હાલતમાં મળેલ યુવક જમીન દલાલ હોવાનું ખુલ્યું
અટલ સમાચાર, ઊંઝા
દિવાળીના તહેવાર ટાંણે ગઇકાલે બાલીસણા ગામેથી યુવકની લાશ મળી આવી હતી. આ તરફ પ્રાથમિક તપાસને અંતે મૃતક યુવક જમીન દલાલ હોવાનું સામે આવ્યુ છે. જોકે હજી સુધી તેની હત્યા કોણે અને કેમ કરી તે બાબતે બાલીસણા પોલીસની ટીમ તપાસમાં લાગી છે. ગઇકાલે બપોરના સમયે ગામના મંદીર નજીકની અવાવરૂ જગ્યાએથી યુવકનો મૃતદેહ મળતાં લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ તાલુકાના બાલીસણા ગામેના ટીંડેશ્વર મહાદેવ મંદીર પાસેની અવાવરૂ જગ્યાએથી યુવકની લાશ મળી આવી હતી. આ તરફ પોલીસે બાઈક નંબરને આધારે તપાસ કરી પરિજનોનો સંપર્ક કરતાં મૃતક યુવક વિષ્ણુજી ઠાકોર(વરવાડા) અને જમીન દલાલ હોવાનું ખુલ્યું હતુ. તપાસ કરતાં મૃતક યુવક 10 નવેમ્બરના દિવસે ઘરેથી કામ માટે બહાર જવાનું કહીને નીકળ્યાં હતા. જ્યાં ગુરૂવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે બાવળોની ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઊંઝા તાલુકાના વરવાડા ગામના વતની અને ઊંઝા ખાતે રહી જમીન દલાલનો વ્યવસાય કરતાં વિષ્ણુજી ગલાજી ઠાકોર 10 નવેમ્બરે ઘરેથી કામથી બહાર જવાનું કહીને નીકળ્યા હતા. ગઈકાલે ગુરૂવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની ગળું કાપેલી અને પીઠના ભાગે ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ તરફ ઘટનાને લઇ મૃતકના પત્નિએ અજાણ્યા ઇસમો સામે બાલીસણા પોલીસે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.