વડનગરઃ કહિપુર ગામે શૈક્ષણિક ભવન લોકાર્પણ અને નામકરણ સમારોહ યોજાયો
અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર)
વડનગર તાલુકાના કહિપુર ગામે શૈક્ષણિક ભવન લોકાર્પણ અને નામકરણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકોમાં શિક્ષણ સાથે રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરવી જરૂરી છે. ગામના વતની અને અમેરીકા સ્થાયી થયેલ છોટુકાકાએ રૂ,૦૫ કરોડનું શિક્ષણ દાન આપી વતનનું ઋણ અદા કરી અન્ય દાતાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે તેમ જણાવ્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, બાળકોને અર્ધતન શૈક્ષણિક સુવિધા મળી રહેનાર છે. બાળકોમાં શિક્ષણ, સંસ્કાર, ચારિત્ર્ય, રાષ્ટ્રભક્તિની ભાવના સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે ઉજાગર કરવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બાળકોને ઉચ્ચત્તમ શિક્ષણ મળી રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ આપે છે.
વિનામુલ્યે ભોજન, ગણવેશ, શિક્ષણ, પુસ્તકો, શિષ્યવૃતિ સહિત અનેક વિવિધ યોજનાઓ થકી રાજ્યના બાળકના શિક્ષણની ચિંતા સરકારે કરી છે. કર્મ એજ ધર્મને સાચા અર્થમાં સાર્થક કરી અમેરિકા સ્થિત સફળ ઉદ્યોગપતિ અને શૈક્ષણિક ભવનના દાતા છોટાલાલ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત-સન્માન મહાનુંભાવો, શૈક્ષણિક સંસ્થા દ્વારા કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ દાતાનું સ્વાગત સન્માન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગામને જોડતા રસ્તા માટે રૂ.૦૧ કરોડના અનુંદાનની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, અજમલજી ઠાકોર, પ્રાન્ત અધિકારી એમ.એમ.ડોડીયા, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ, જિલ્લાના અધિકારીઓ,ગ્રામજનો, દાતાશ્રીઓનો પરિજનો, શાળાના આચાર્યશ્રી,શિક્ષકો,વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા