વિસનગરઃ કડા-વિજાપુર ઉબડ-ખાબડ રોડથી વાહનચાલકો ભયભીત બન્યા
અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)
વિસનગરમાંથી પસાર થઈ રહેલ કડા-વિજાપુર રોડની ખખડધજ હાલતથી દૈનિક પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થવા પામી છે કે, ચોમાસાના શ્રી ગણેશ થઈ ચુક્યા છે. જ્યારે આ રોડ પરના ખાડા વાહનચાલકોની કમર ભાંગી રહ્યા હતા. જ્યારે વરસાદની શરૂઆતમાં માંદગીમાં પડેલો રોડ હવે મુસાફરોને માંદો પાડી રહ્યો છે.
કડા-વિજાપુર રોડની તસ્વીરો જોતાં તેની હાલત ગતિશીલ ગુજરાતના સૂત્ર ઉપર શંકા ઉપજાવી રહી છે. સ્થાનિક વહિવટી તંત્રને આ રોડ મરણીયો બની ગયો છે તે પહેલાથી જ જાણ હતી. તો પછી અત્યારસુધી તેના ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું હોવાથી હવે હાલત એવી બની છે કે, ચોમાસામાં રોડ વધુ ધોવાઈ રહ્યો છે. અને જેના કારણે દૈનિક પસાર થતા હજારો વાહન ચાલકો રોડ પર પાણી ભરાવાથી ક્યાં કેટલો ખાડો છે તેની જાણ થતી નથી. ક્યાંક એક ફૂટ તો ક્યાંક બે ફૂટ જેટલા મોટા ખાડા પડી ગયા છે.
જમીન ભીની થવાથી ભૂવા પડવાની સ્થિતિ પણ પેદા થાય તો અજાણ મુસાફરોને તંત્રના બેધ્યાનપણાને કારણે મોતનો સામનો કરવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલ તો પાણી પહેલા પાળ બાંધવાની તંત્રની સૂઝના અભાવે વાહનચાલકો અને મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે.
નોકરી જવા માટે રોજ ડરના માર્યા નીકળીએ છીએઃ મુસાફર
વિસનગરથી મહેસાણા શહેરમાં નોકરી માટે આવતા એક મુસાફરે જણાવ્યું હતું કે, આ રોડ પરથી રોજ અમે પસાર થઈ રહ્યા છીએ. ઘરેથી નીકળતાં સૌ પ્રથમ રોડ પર પડેલા ખાડાના દ્રશ્યો આંખ સમક્ષ ઉભા થાય છે. આથી દરરોજ આવતા અને જતા ડરી ડરી પસાર થતા હોઈએ છીએ. જ્યારે અત્યારે ચોમાસાના કારણે આ સ્થિતિ વધુ ભયાવહ બની છે. કામ-ધંધા માટે આ રોડ પરથી નીકળવું અમારા માટે ફરજિયાત બન્યું છે.