ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 13ના મોતઃ અકસ્માતે 12 જ્યારે એક કેનાલમાં ડૂબ્યો
અટલ સમાચાર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા
છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતમાં અકસ્માતે 13 લોકોના મોત થયા છે. જેમાં સોમવારના દિવસે જ ઉત્તર ગુજરાતમાં 8 લોકોના મોત નિપજ્યા હતા. ઉત્તર ગુજરાતમાં અકસ્માતે 12 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અને એકનું કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું.
બનાસકાંઠાના પાંથાવાડામાં 4ના મોતઃ
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના પાંથાવાડા પાસે આવેલ કુચવાડા ગામ નજીક એક ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર 4 મુસાફરોના કમકમાટીભર્યા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અને ટ્રેલરનો ચાલક ગમખ્વાર અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો.
વિસનગરમાં કારની ટક્કરે દંપતિનું મોતઃ
વિસનગરમાં પાલડી રોડ ઉપર એક ગોઝારા અકસ્માતમાં બાઈક સવાર દંપત્તિનું મોત નિપજ્યું હતું. આ દંપત્તિ સુંઢિયા લોકાચાર જઈ આંબલીયારા પાછા ફરી રહ્યા હતા ત્યારે એક કારે ટક્કર મારતાં દંપત્તિને માથા તેમજ શરીરના બાગે ગંભીર ઈજા થતા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મહેસાણામાં અજાણ્યા વાહનોની ટક્કરથી બેના મોતઃ
મહેસાણા અને વડાસણમાં સર્જાયેલા બે માર્ગ અકસ્માતોમાં એક બાળકી સહિત બે વ્યક્તિના કરુણ મોતનિપજ્યા છે. વિજાપુર તાલુકાના વડાસણ ગામે કુકરવાડાથી વિસનગર રોડ પર જઈ રહેલી 6 વર્ષીય બાળકી જયશ્રીને એક પીકઅપ ડાલાના ચાલકે ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલ બાળકીનું મોત નિપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં મહેસાણા શહેરના હાઈવે પર આવેલ સહકારનગર સોસાયટીમાં રહેતા હિમત મહેતા ઉ.વ.72 મોઢેરા રોડ પર આવેલ સોમેશ્વર મોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલ વૃધ્ધનુ મોત નિપજ્યું હતું. બન્ને અકસ્માતોમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુંધામાતાના ટ્રસ્ટીનું મોત
રાજસ્થાન સુંધામાતાના ટ્રસ્ટી મહેન્દ્રસિંહનું ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
ટ્રેનની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત
મહેસાણા- ધિણોજ વચ્ચે સોમવારે બપોરે 3 વાગ્યે પાટણથી સાબરમતી તરફ જઇ રહેલી ડેમુ ટ્રેન નજીક આવતાંની સાથે જ અજાણ્યા યુવાને તેની સામે છલાંગ લગાવી હતી. એકાએક બનેલા બનાવને પગલે બ્રેક મારવાના પ્રયાસ છતાં ટ્રેન ઉભી ના રહેતાં એન્જિન સાથે અથડાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
હારિજના વાંસા ગામે યુવાન કેનાલમાં ડૂબી ગયો
નર્મદા કેનાલમાં હારિજ તાલુકાના વાંસા ગામ નજીક એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું પાટણની શ્રમજીવી સોસાયટીન સુરેશજી ઠાકોર કોઇ અગમ્ય કારણોસર કેનાલમાં ડૂબી જઇ મરણ ગયા હોવાની જાણ તેમના ભાઇએ હારિજ પોલીસ મથકે કરતાં પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં ટ્રક-બાઇકની ટક્કરે બેનાં મોત
તલોદ તાલુકાના હરસોલ વડગામ હાઇવે પર રોઝડ પાસે રવિવારે રાત્રે ૮-૧૫ કલાકે ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર મયુરકુમાર મહેશભાઈ પંચાલ અને હર્ષદ પ્રવિણભાઇ પંચાલ બન્ને જણાના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. બન્ને બાઈક સવારો તેમના વડાગામથી ફોઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રોઝડ વડાગામ માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બંનેને ગંભીર ઇજા થતાં હિમતનગર ખસેડાયા હતા. જ્યાં બંનેને ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યા.