અટલ સમાચાર મહેસાણા
ઊંઝા રાજ્ય જીએસટી એકમે ફરી એકવાર કરચોરી પકડી સપાટો પાડી દીધો હોવાનું સામે આવ્યું છે. સુરત નજીક જીરું ભરેલી ટ્રક ઝડપાઇ હોઇ તેની તપાસનો રેલો ઊંઝા સુધી પહોંચ્યો હતો. જેમાં બે વેપારીઓની સરેરાશ 30 લાખની કરચોરી પકડી લેવામાં આવી છે.
ઊંઝા વેપારી આલમમાં રેડ પડી હોવાની ઘટના સામે આવી છે. હકીકતે સુરત નજીક કપરાડા પાસે જીરું ભરીને જતી ટ્રક તપાસમાં આવી હતી. જેમાં ઇ-વેબીલ અંગે જીએસટી દ્વારા તપાસ કરતા ઊંઝાના વેપારીનો માલ હોય હોવાનું ધ્યાને આવ્યું હતું.
સમગ્ર મામલે રાજ્ય જીએસટી એકમે ઊંઝાના હયાત ટ્રેડિંગ અને એસ.નારાયણ નામની વેપારી પેઢીમાં તપાસ કરી હતી. જેમાં ખોટા ખરીદ વેચાણ કરી કરચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. જીએસટી એકમે હયાત ટ્રેડિંગમાં 22 લાખ અને એસ. નારાયણમાં 7.90 લાખની ટેક્સચોરી પકડી હતી.