સાબરકાંઠા જિલ્લા પંચાયતના તલાટીઓ ભાજપના એજન્ટ હોવાનો સદસ્યનો આક્ષેપ
અટલ સમાચાર, હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી તલાટીઓની બદલીનો મુદ્દો ગરમાયો છે. ગત સામાન્ય સભામાં ધમાલ બાદ કોંગી સદસ્યએ આખરે માહિતી માંગી હતી. વિગતમાં જિલ્લા પંચાયતે માહિતી છુપાવી ગેરમાર્ગે દોર્યાનો તેમજ તલાટીઓ ભાજપના એજન્ટ હોવાનો આક્ષેપ જીલ્લા પંચાયતના જ સભ્યએ કરતા હડકંંપ મચી ગયો છે.
સાબરકાંઠા જિલ્લા પંચાયત હેઠળના તલાટીઓ છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી એક જ જગ્યા ઉપર હોવાથી બદલી કરવાની માંગ થઈ રહી છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના કોંગી સદસ્યોને તલાટીઓ ગાંઠતા ન હોવાની દલીલ વચ્ચે અવાર-નવાર રજૂઆત આવતી હોય છે. જેમાં ગત સામાન્ય સભામાં ઉગ્ર ઘર્ષણ બાદ સદસ્ય નિરૂબા લાલસિંહ પરમારે માહિતી માંગી હતી.
કયા તાલુકામાં કેટલા તલાટીઓ બદલી થવા પાત્ર છે ? તે અંગે શું કાર્યવાહી થઈ તે સહિતની વિગતો માંગવામાં આવી હતી. જે અંગે સદંતર ખોટી માહિતી આપી ઈરાદાપૂર્વક કેટલાક તલાટીઓને રાજકીય દબાણથી બચાવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. તલાટીઓ ભાજપના એજન્ટ તરીકે કામગીરી કરી રહ્યા હોવાથી તાલુકા બદલી કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા રાજકીય અને વહીવટી ગરમાવો વધી ગયો છે.
જિલ્લા સદસ્યની રજૂઆતમાં હર્ષવર્ધન કુંપાવત,કે.પી.બારોટ અને કુલદીપ ભાટી સહિતના તલાટીઓનો ઉલ્લેખ કરી વિકાસ કમિશનર અને ચૂંટણી કમિશનરમાં મોકલાવ્યું છે.