દુર્ઘટના@ગુજરાત: વિરમગામ-નળસરોવર રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લાના વિરમગામ-નળસરોવર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
એક પરિવારના ત્રણ સભ્યો બાઈક પર સવાર થઈને નળસરોવર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય વ્યક્તિઓએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
અકસ્માતને પગલે એવા દૃશ્યો સર્જાયા હતા કે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોના શરીરના ટુકડાઓ રસ્તા પર વિખેરાઈ ગયા હતા અને રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો.અકસ્માતની જાણ થતા જ વિરમગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

