અકસ્માત@ખેડબ્રહ્મા: હાઇવે બન્યા જોખમી, વાહનની ટક્કરે પદયાત્રીનું મોત
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ભાદરવી પૂનમના મેળાને લઈ ઉત્તર ગુજરાતના હાઇવે પર અંબાના ભક્તોની લાઈનો લાગી છે. એવામાં ખેડબ્રહ્મા નજીક પદયાત્રીને વાહનની ટક્કર વાગતાં ગંભીર અકસ્માત થયો હતો. યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો છતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પગપાળા માટે હાઇવે જોખમી હોવાના સવાલો ઉભા થયા છે.
ખેડબ્રહ્મા પાસે જગમેર પાટિયા નજીકથી અંબાજી જતાં શ્રધ્ધાળુઓ પસાર થઈ રહ્યા છે. એવામાં મંગળવારે કોઈ વાહનની ટક્કરથી પદયાત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર રીફર કરવામાં આવ્યો હતો. જોકે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક પદયાત્રી હોવાથી પગપાળા જતાં માં અંબાના ભક્તો માર્ગ સલામતી માટે ચિંતિત બન્યા છે. હાઇવે દિવસે જોખમી હોઇ રાત્રે પગપાળા જવાની બીક વધું ઘેરી બની છે. ઉલ્લેખનીય છે કે, મૃતકની ઓળખ કલાકો સુધી થઈ શકી ન હતી. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતની ઘટનાને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.