દુર્ઘટના@મહેસાણા: બેફામ ડમ્પરે એક્ટિવાચાલકને કચડી નાંખતાં મોત, ફરાર ચાલક સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ)
કોરોનાકાળ વચ્ચે મહેસાણા-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે અમદાવાદ જવા નીકળેલા વ્યક્તિને નંદાસણ પુલ નજીક એક બેફામ ડમ્પરચાલકે ટક્કર મારી હતી. જે બાદમાં યુવક એક્ટિવા પરથી નીચે પડી ગયા બાદ તેના પર ડમ્પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજને ફરાર ડમ્પર ચાલક સામે નંદાસણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના કડીના નંદાસણ નજીક હાઇવે પર વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે નવછ સેઢાવીના પરમાર હર્ષદભાઇ પોતાના ભત્રીજા અજય સાથે ઘરેથી નિકળ્યાં હતા. જે બાદમાં અજયને નંદાસણ ઉતારી તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા.
આ તરફ નંદાસણ નજીક ઉમાનગર મેલડીમાતા મંદીરની બાજુમાં હાઇવે પર બેફામ ડમ્પરે તેમને ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા બાદ ડમ્પર તેમના પર ચઢાવી દેતાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, એક્ટિવા ચાલક હર્ષદભાઇ ડમ્પરના ટાયર નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત થયુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર વાહન મુકી નાસી છુટ્યો હતો.
જેને લઇ મૃતકના પરિજન મુકેશભાઇએ ફરાર ચાલક સામે નંદાસણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A, 337 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.