અકસ્માત@મોડાસા: પદયાત્રીઓને બાઇકે અડફેટે લીધા, બે યાત્રાળું ઇજાગ્રસ્ત
અટલ સમાચાર, મોડાસા
અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો અંબાજી પગપાળા જતા સંઘો થી ઉભરાઈ રહ્યા છે. ભાદરવી પૂનમ નજીક છે પદયાત્રીઓના સંઘ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાત્રીના સમયગાળા દરમિયાન પદયાત્રીઓ પસાર થતા પદયાત્રીઓ અનેકવાર રોડ પરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકોની અડફેટે આવી અકસ્માતનો ભોગ બને છે.
હાલોલ-શામળાજી માર્ગ પર વાંટા-વાછોડા માર્ગ પર કારની ટક્કરે ત્રણ પદયાત્રીઓના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં મોડાસાના મુલોજ અને માલપુર ના માલજીના પહાડીયા નજીક બે અલગ-અલગ બાઈક સવારોએ પદયાત્રીઓને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થતા પદયાત્રીઓમાં ચિંતા પ્રસરી હતી.
અરવલ્લી જીલ્લાના તમામ મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી ભાદરવી પૂનમે શિશ ઝુકાવવા અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ ઉઠ્યા છે. મોડાસાના મુલોજ નજીક અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા અને માલપુર-મોડાસા હાઈવે પર માલજીના પહાડીયા નજીક બાઈકે અડફેટે લેતા પદયાત્રીઓમાં નાસભાગ મચી હતી.
બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરજ પરના તબીબોએ સઘન સારવાર આપી હતી સાર્વજનિક હોસ્પિટલમાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. માઈ ભક્તોમાં બેફામ વાહન હંકારતા વાહનચાલકો સામે પોલીસતંત્ર શખ્ત કાર્યવાહી કરે અને પદયાત્રીઓને સુરક્ષા પુરી પાડવામાં આવેની માંગ પ્રબળ બની છે.