અકસ્માત@સાબરકાંઠા: પદયાત્રી અને બાઈકચાલક માટે રવિવાર અંતિમ દિન બન્યો
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જિલ્લામાં રવિવારે અલગ- અલગ અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે. ઈડરના બારેલા તળાવ પાસે બાઈક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બાઈક સવારનું કરુણ મોત નિપજ્યું હતું. તો ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતાં પદયાત્રીને અજાણી ગાડીએ ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં આશાસ્પદ યુવક મોતને ભેટ્યો હતો. એસટી ડ્રાઇવર અકસ્માત સર્જી બસ મુકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ઈડર પોલીસે મૃતકની લાશને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ માં અંબાના દર્શને જતાં ગંભીર દુર્ઘટના બની હતી. ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતાં પદયાત્રીનુ અકસ્માતમાં મોત થયું છે. અજાણ્યો ઇસમ ગાડીથી ટક્કર મારી ફરાર થઈ ગયો છે. ખેડબ્રહ્મા પોલીસને જાણ થતાં તપાસ શરૂ કરી અજાણી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.