દુર્ઘટના@અમદાવાદ: ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતા બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ચાંગોદરમાં આજે એક હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. માહિતી અનુસાર ચાંગોદર બ્રિજ પરથી 'યુનિસન ફાર્મા' કંપનીની સ્ટાફ બસ પસાર થઈ રહી હતી.તે દરમિયાન ચાલુ બસે અચાનક ટાયર નીકળી ગયું હતું.
આ ટાયર બ્રિજ પરથી સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું. તે જ સમયે નીચેથી બાઈક લઈને પસાર થઈ રહેલા ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા પર આ તોતિંગ ટાયર પડ્યું હતું. સર્વિસ રોડ પર જઇ બાઈક સવાર ભીખાભાઈ પર ટાયર પડતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતક ભીખાભાઈ ઝાલા મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના રહેવાસી હતા. તેઓ હર્ષા નામની ખાનગી કંપની પાસેથી સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ટાયરે તેમનો ભોગ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

