કાર્યવાહી@દાહોદ: મનરેગા કૌભાંડ કેસમાં મોટા સમાચાર, મંત્રી બચુભાઈ ખાબડના ફરાર થયેલા બીજા પુત્રની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મનરેગા યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચારના મામલે મહત્વપૂર્ણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ મંત્રીના બંને પુત્રો ભ્રષ્ટાચારના કૌભાંડમાં ફસાઈ ગયા છે.અગાઉ બળવંત ખાબડની ધરપકડ બાદ હવે કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી છે.દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ થયેલા મોટા પાયે નાણાકીય ગેરરીતિઓએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. આ કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના સંબંધીઓની સંડોવણીના આરોપો ઉઠ્યા છે. જેના કારણે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ તપાસનો દોર તીવ્ર કર્યો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.
આ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે રાજ્યના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી. તેમની સામે નકલી કામકાજ બતાવીને લાખો રૂપિયાની ગેરરીતિના આરોપો છે. હવે તેમના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ થઈ છે. કિરણ ખાબડ પર આરોપ છે કે તેમણે વિવિધ યોજનાઓ હેઠળ બોગસ બિલો, નકલી ઓર્ડરો અને ફેક મેપિંગ દ્વારા લગભગ 5 કરોડ રૂપિયાથી વધુની રકમનો ગેરવહીવટ કર્યો. આ આરોપોને ટેકો આપતા અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ સામે આવ્યા છે. જે તપાસ એજન્સીઓના હાથે લાગ્યા છે.
પોલીસે એપીઓ દિલીપ ચૌહાણ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને કસ્ટડીમાં લીધા છે. આ અધિકારીઓ પર આરોપ છે કે તેમણે નકલી દસ્તાવેજો અને બોગસ રેકોર્ડના આધારે ગેરકાયદેસર રીતે નાણાંનું વિતરણ કર્યું. આ કૌભાંડમાં 35થી વધુ કન્સ્ટ્રક્શન એજન્સીઓના નામો પણ સામે આવ્યા છે.જેમણે મળીને અંદાજે 71 કરોડ રૂપિયાથી વધુનું નાણાકીય નુકસાન કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.