કાર્યવાહી@દ્વારકા: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 3 કાર્યકરો સસ્પેન્ડ, કોની સામે લેવાયા પગલાં? જાણો
કડક નિર્ણયને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં શિસ્તભંગની ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ સક્રિય કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી દ્વારા પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કાર્યકરોમાં જામ ખંભાળિયા તાલુકાના બહાદુરસિંહ વાઢેર અને નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના વિઠ્ઠલ સોનગરાને પણ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.ભાજપના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય કાર્યકરો પક્ષમાં હોવા છતાં પક્ષની વિચારધારા વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાના પુરાવાઓ મળ્યા હતા. શિસ્તને વરેલી પાર્ટી ગણાતી ભાજપે આ પ્રકારની પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચલાવી ન લેવાની નીતિ સાથે આ કડક પગલું ભર્યું છે.

