કાર્યવાહી@ગુજરાત: સાણંદ અને બાવળામાં ખાણ-ખનિજ વિભાગના દરોડા, 2.10 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

 
કાર્યવાહી
તંત્રની ટીમે સ્થળ પરથી કુલ રૂપિયા 2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા તાલુકામાં ગેરકાયદેસર ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી છે. મધ્યરાત્રીએ ખાણ-ખનિજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં રુ.2.10 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે.સાણંદના ઉપરદળ અને બાવળાના નાનોદરા આંબા તળાવ પાસે મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની ટીમે મોડી રાત્રે ત્રાટકીને સાદી રેતી અને સાદી માટીના ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ અંગે તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ એક્સ્કેવેટર મશીન અને ત્રણ રેતી ચાળવાના મોટા ચારણા મળી આવ્યા હતા. તપાસમાં આ મશીનરી વિજયભાઈ કાંતિભાઈ પટેલ, કિશનભાઇ બાબુભાઇ પટેલ, ધનજીભાઈ ધરમશીભાઈ ચૌહાણ ની માલિકીની હોવાનું ખુલ્યું છે. તંત્રની ટીમે સ્થળ પરથી કુલ રૂપિયા 2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે.ઝડપાયેલા એક્સ્કેવેટર મશીનોનો કબજો તાત્કાલિક ધોરણે નળસરોવર અને કેરાલા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને લાખો રૃપિયાની દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.