કાર્યવાહી@ગુજરાત: ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ, 3 મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ ટોળકીએ માત્ર બેચરાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.આદિવાડા ગામના 31 વર્ષીય સચિનભાઈ રાજેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમદાવાદની એક યુવતી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નના ચારેક દિવસ બાદ યુવતીના બનેવી તરીકે ઓળખ આપનાર રાજુ ઠક્કર ‘પિતા બીમાર છે’ તેમ કહીને યુવતીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવતી પરત ન ફરતા યુવાને છૂટાછેડાની વાત કરી હતી, જેના માટે આરોપીઓએ રૂ.50 હજારની માંગણી કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાં યુવક સાથે ગાળાગાળી કરી, છૂટાછેડા આપવાને બદલે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હતા.
આ ટોળકીએ યુવક પાસેથી રોકડ, દાગીના, મોબાઈલ અને કપડાં મળી કુલ રૂ.11 લાખથી વધુની મત્તા પડાવી લીધી હતી, જે અંગે રૂ. 5.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.બેચરાજી પીઆઈ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતી ટીમે ત્રણ મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે મુખ્ય આરોપી ચાંદનીએ અલગ-અલગ જગ્યાએ ખોટા નામ અને દસ્તાવેજોના આધારે 15 યુવાનો સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અન્ય આરોપી રશ્મિકાએ 4 અને સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિએ 2 યુવાનો સાથે લગ્ન કરી છેતરપિંડી આચરી હતી.અમદાવાદની રશ્મિકા પંચાલ નામની મહિલા પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાની ઓળખ આપીને શિકાર શોધતી હતી. લગ્નવાંછુ યુવક અને તેના પરિવારને પોતાની ટોળકીની યુવતી સાથે મુલાકાત કરાવતી હતી. ત્યારબાદ ખોટા સંબંધો બતાવીને અને લગ્નની શરતો નક્કી કરીને પૈસા તથા દાગીના પડાવતા હતા.
લગ્ન માટે યુવતીના નામ, આધારકાર્ડ, એલસી જેવા દસ્તાવેજો પણ બનાવટી તૈયાર કરવામાં આવતા હતા. એક જગ્યાએ લગ્ન કરાવ્યા બાદ થોડા સમયમાં જ યુવતીને ત્યાંથી ભગાડી, બીજા શિકાર સાથે પરણાવી દેવામાં આવતી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકીએ અલગ અલગ યુવતીઓ મારફતે અનેક યુવકોને ફસાવ્યા છે. જેમાં ચાંદની નામની યુવતીએ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. જ્યારે રશ્મિકાએ ૪ યુવકો અને સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિએ 2 યુવકો સાથે લગ્ન કર્યા હતા.આ ટોળકીએ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા-અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વેરાવળ અને વડોદરા સહિતના 10 જિલ્લાઓમાં જાળ બિછાવી હતી. જેમાં દિયોદર, ઈડર, સામી, બાવળા, વસ્ત્રાલ, રાજકોટ, ગીર સોમનાથ, કપડવંજ, મોરબી અને હિંમતનગર જેવા શહેરો અને ગામોના યુવકો ભોગ બન્યા છે.

