કાર્યવાહી@જૂનાગઢ: તંત્ર દ્વારા વધું એક શહેરમાં મેગા ડિમોલિશન, 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એક મોટા શહેરમાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આજે જુનાગઢમાં મનપાના મેગા ડિમોલીશન અંતર્ગત 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે. આ કાર્યવાહીને લઈ તંત્ર દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે અમદાવાદમાં પણ તંત્ર દ્વારા ચંડોળા તળાવ પાસે મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ હતી. જુનાગઢમાં આજે મહાનગરપાલિકા દ્વારા ધારાગઢ દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જેમાં અંદાજે 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાશે.
આ કાર્યવાહીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેને લઈ 3 DYSP, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો સ્ટાફ તૈનાત છે. આ સાથે 10 ગેસમેન, 10 દૂરબીન, 15 વોકીટોકી સાથે સ્ટાફ ખડે પગે છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઇ પોલીસ દ્વારા ચાંપતી નજર રખાઇ છે. આ સાથે ડ્રોન દ્વારા ધારાગઢ દરવાજા વિસ્તારનું નિરીક્ષણ કરાયું હતું. આ તરફ વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ ડિમોલિશન ગઈકાલે હાથ ધરાયું હતું. 2000થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે આ કામગીરી કરવામાં આવી હતી. જેનુ સીધુ મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. 23 વર્ષના દબાણની આક્રમકતા એટલી હદે વધી ગઇ અને જાણે એક મોટો વિસ્તાર વસી ગયો હોય તેમ એક મીની બાંગ્લાદેશ ઉભુ થઇ ગયુ. ગેરકાયદે વધી રહેલી ઘુસણખોરી પણ આ ગેરકાયદેસર દબાણ પાછળ જવાબદાર છે. આજે આ વિસ્તારના લગભગ 1000 થી વધુ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યુ હતુ. પોલીસે હાલ 890 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી રહી છે. ચંડોળા તળાવ આસપાસ ડ્રગ્સ, દારૂ, દેહવ્યાપાર સહિત અનેક બિનકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હતી.