કાર્યવાહી@મહીસાગર: પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 20 હજારની લાંચ લેતાં સરપંચના પિતાને ACBએ ઝડપ્યા

PM આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે લાંચ માંગી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહીસાગરમાં PM આવાસ યોજના હેઠળ સહાયનો લાભ લેવા માટે અરજી કરનારા લોકો પાસેથી નાણાં પડાવનારા લાંચિયા સરપંચને ACBએ 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઉગરાણું કરનાર સરપંચ પિતા અને એક અન્ય આગેવાન પણ ACBના છટકામાં રંગે હાથ ભેરવાયા છે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ACB એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસના હપ્તાની ટકાવારી પેટે લાંચ લેતા સરપંચ પિતા અને અન્ય 1ની ધરપકડ કરવામાં આવી.
મહીસાગરના એક ગામ કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતના સરપંચ પિતા 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે. PM આવાસ યોજનામાં પ્રથમ અને બીજા હપ્તા માટે લાંચ માંગી હતી. જીલ્લા ACB દ્વારા બને આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું, જેના પ્રથમ અને બીજા હપ્તા તેમના બેંક ખાતામાં જમા થઈ ગયા હતા. આ હપ્તાની ટકાવારી રૂપે આરોપી દિગ્વિજયસિંહ અભેસિંહ પુવારએ રૂ. 22,500ની માંગણી કરી હતી.
ત્યારબાદ ફરિયાદીએ સરપંચના બદલે કામગીરી કરતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડિયા સાથે વાતચીત કરી હતી. જેમણે રૂ. 20,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી દિગ્વિજયસિંહે ફરિયાદી સાથે વાતચીત કરીને રૂ. 20,000ની લાંચ સ્વીકારી હતી. આ સાથે જ અરવિંદભાઈ પણ પકડાઈ ગયા હતા.