કાર્યવાહી@અગર: અનેક વાહનો સાથે કાફલો રણમાં, ઓથોરિટીના આદેશની અસર, ગેરકાયદેસર રસ્તા તૂટ્યા

 
અગર
ગેરકાયદેસર રીતે રણમાં અમુક જગ્યાએ કબજો કરવાની હરકતો થઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં સફેદ મીઠાનો  કથિત કારોબાર ધમધમી રહ્યો છે. વર્ષોથી શંકાસ્પદ ગતિવિધિઓને કારણે બેફામ બનેલા ઈસમોએ રણમાં આડેધડ માટીના પથરાવો અને દબાણો કર્યા હતા. સરકારની માલિકીની હજારો હેક્ટર જમીનમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને તેનાથી પર્યાવરણને ગંભીર અસરોની ફરિયાદ ઉઠી હતી. મામલો છેક રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ સુધી જતાં સૌથી મોટી અસર સામે આવી છે. રણમાં પરવાનગી વગર માટીના બંધપાળાના કારણે રણમાંથી વહેતી નદીઓનો પ્રવાહ અસ્તવ્યસ્ત થયો છે. સતત ગેરકાયદેસર અવર જવરના કારણે આરક્ષિત ઘુડખર અભ્યારણના આ રણમાં આશ્રિત ઘુડખર સહિતના વન્યજીવોને પણ અસર થતી હોવાની બૂમરાણો ઉઠતી હતી. પર્યાવરણ સમતુલા જોખમાતી હોવાની રજૂઆતો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) દ્વારા GPBC બોર્ડને તપાસનો આદેશ આપેલ હતો. જેમાં તપાસ સમિતિના અહેવાલને પગલે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા કચ્છના નાના રણમાં અયોગ્ય માટીના પાળા દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે થઈ છે. 


બનાસકાંઠા જિલ્લા મહેસૂલી તંત્રને આવેલ સુચના બાદ સુઈગામ નજીક બોરૂને અડીને આવેલ રણ વિસ્તારની સરકારી જમીનમાં ઘણાં સમયથી શંકાસ્પદ ગતિવિધિઓની ફરિયાદો ઉઠતી રહી છે. જેની અરજી ગાંધીનગરથી છેક દિલ્હી સુધી જતાં મામલો પર્યાવરણની સુરક્ષા ઉપર પહોંચી ગયો હતો. સરકારના વિવિધ વિભાગો વચ્ચેની કાગળો ઉપરની અને સ્થળ સ્થિતિ રીપોર્ટની દોડધામ બાદ અત્યાર સુધીમાં સૌપ્રથમવાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રણમાંથી વહેતી નદીઓના પ્રવાહને આડે થાય અને પોતાના લાભ માટે કેટલાક ઈસમોએ માટીના દબાણો કરી દીધા હતા. આ દબાણો નદીના નિયમિત પ્રવાહને અસર કરતાં હોઈ, અભ્યારણ્યની જોગવાઈ પણ ભંગ થતી હોઈ, પર્યાવરણને પ્રતિકૂળ અસર થતી હોઈ તેવા પાસાંઓ ઉપર તપાસ થઈ હતી. આખરે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની સુચના બાદ સુઈગામ તાલુકા મામલતદારે ટીમ મોકલી છે. 


સૂત્રોએ જણાવ્યું હતું કે, સુઈગામ મામલતદારની ટીમ દ્વારા ત્રણ જે.સી.બી અને બે લોડર દ્વારા સવારથી જ ગેરકાયદેસરના પાળા તોડવાની કામગીરી શરૂ થઈ છે. જોકે રણ માફીયાઓ કે શંકાસ્પદ ઈસમો દ્વારા અંદાજે 25 કી.મી વિસ્તારમાં ઠેર ઠેર માટીના પાળા, દબાણો કર્યા હતા તેની ઉપર જેસીબી ફરી વળ્યું છે. બાહુબલી ઈસમો દ્વારા પોતાના લાભ સારું નદી, રણ, અભ્યારણ્યનો કોઈ વિચાર કર્યા વગર ઘણાં વર્ષોથી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જોકે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નિર્ણયને પગલે તંત્ર દ્વારા જૂના માટીના પાળા તોડવામાં આવી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર મીઠાં ઉત્પાદન ઉપર રોક ક્યારે તે સૌથી મોટો સવાલ થયો છે. જાણકારોના મતે, પર્યાવરણની સમતુલા સામે જોખમ રૂપ કચ્છના નાના રણમાં જે રણ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો ઊભા કરી મીઠું પકવવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે તે બાબતે પૂછતાં મામલતદારે જણાવ્યું કે, તે મુદ્દો પછી જોવામાં આવશે, હાલ મુખ્ય બાબત નદીના પ્રવાહ રોકતાં દબાણો દૂર કરવાના છે. હકીકતમાં NGTની દોડધામ પછી કચ્છના નાના રણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે કોઈ ખાનગી કંપની હજારો હેક્ટર જમીન ઉપર નિયમોનુંસાર કરી રહી ? તે પણ સૌથી મોટો સવાલ છે. રાજકીય પીઠબળના આધારે કેટલાય શંકાસ્પદ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે રણમાં અમુક જગ્યાએ કબજો કરવાની હરકતો થઈ છે. જિલ્લા રેવન્યુ, જંગલ ખાતું અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એવી તો કઈ નજર નીચે વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃતિ ધમધમી રહી તે પણ સવાલ છે. 


રણમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી આદેશનું સાચું પાલન કરાશે ?


નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કચ્છના નાના રણમાં શંકાસ્પદ માફીયાઓ દ્વારા કરાયેલ દબાણો દૂર થઈ રહ્યા પરંતુ સ્થાનિકોમાં એવી બૂમરાણ છે કે, વર્ષોથી રણમાં અડિંગો જમાવી બેઠેલા માફીયાઓ ક્યારે દૂર થશે ? પર્યાવરણ સંરક્ષણ માટે જે કામગીરી ચાલી રહી તેમાં કોઈપણ જાતની ઢીલાશ ના રહે તે ખૂબ અગત્યનું છે.