આદેશ@દેશ: લોકસભા ચૂંટણી પહેલા મમતા સરકારને ઝટકો, 23 હજાર નોકરીઓ કરાઈ રદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પશ્ચિમ બંગાળમાં શાળા સેવા આયોગના શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 23 હજારથી વધુ નોકરીઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે વર્ષ 2016માં જે લોકોને નોકરીઓ મળી હતી તેમની નોકરીઓ રદ કરી દીધી છે. હાઈકોર્ટે આ લોકોને 4 અઠવાડિયામાં તેમનો પગાર પરત કરવાનો આદેશ આપ્યો છે.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચે શિક્ષક ભરતી કૌભાંડ પર આ નિર્ણય આપ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને TMCના અન્ય નેતાઓ, ધારાસભ્યો અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ પણ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલમાં છે.કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગાંગુલીએ આ કેસની સુનાવણી સીબીઆઈને સોંપી હતી અને પાર્થ ચેટરજીને સીબીઆઈ સમક્ષ હાજર થવાનો આદેશ પણ આપ્યો હતો, તેમની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 5000 લોકોએ નોકરી ગુમાવી છે, જેમણે ખોટા માર્ગે નોકરી મેળવી હતી.