વહીવટ@મહેસાણા: કર્મચારીઓની બદલીમાં સ્થળને બદલે ટેબલફેર !
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા કલેક્ટર કચેરીને કર્મચારીઓની બદલી અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. કારકૂન અને નાયબ મામલતદારની બદલી અંગે સરકારના નિયમો સામે મહેસાણા જિલ્લામાં થતી અમલવારી જોઇ નાગરિકે રજૂઆત કરી છે. જેમાં ત્રણ વર્ષ બાદ જે તે સ્થળથી ટ્રાન્સફર કરવાને બદલે ટેબલફેર થતું હોવાથી પારદર્શક વહીવટ સામે સવાલો ઉભા કર્યા છે.
રાજ્યના મહેસુલ વિભાગ સહિતના કર્મચારીઓની બદલી અંગે ચોક્કસ જોગવાઈઓ છે. જેમાં કારકૂનથી માંડી કલેક્ટર સહિતનાને ત્રણ વર્ષ બાદ એક સ્થળેથી બીજા સ્થળે બદલી કરી દેવામાં આવે છે. જોકે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થતી બદલી અંગેની અમલવારી સામે વાંધો લઇ રજૂઆત કરવામાં આવી છે. જેનાથી જીલ્લા વહીવટી આલમમાં અનેક બાબતો વચ્ચે મુંઝવણ ઉભી થઇ છે.
નાગરિકની રજૂઆત મુજબ મહેસાણા જિલ્લા સેવા સદન, પ્રાન્ત તેમજ મામલતદાર સહિતની કચેરીઓમાં અનેક કારકૂન અને નાયબ મામલતદાર ફરજ બજાવે છે. જેમાં કેટલાક કર્મચારી છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી એક જ સ્થળે છે. આ કર્મચારીઓને મોટેભાગે ટેબલફેર તો ક્યારેક શાખાફેર કરી બદલી કરાય છે. આવી સ્થિતિમાં એક જ તાલુકા કે જિલ્લા મથકે કર્મચારીઓની ફરજથી વહીવટમાં પારદર્શકતા સામે ખતરાની સંભાવના ગણાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર હેઠળના અનેક કર્મચારીઓ વર્ષોથી એક જ સ્થળે એટલે કે એક જ મથકે ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય સરકારના નિયમ મુજબ ટેબલફેર બદલી ન હોવાની રજૂઆત કરી જવાબદારો શોધી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચોક્કસ કર્મચારીઓને માત્ર ટેબલ કે બહું બહું તો શાખા બદલી આપવા સામે આશંકા વ્યક્ત કરવામાં આવતા વહીવટી તંત્રના “વહીવટ” સામે સવાલો ઉભા થયા છે.