ગંભીર@મહેસાણા: પાણી સહિતના પ્રશ્નો જલદી હલ કરો નહિ તો ચૂંટણી બહિષ્કાર થશે- ખેડૂતો
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ખેરાલુ પંથકના ખેડૂતોએ આજે ભારે આક્રોશ સાથે કલેક્ટરને વિવિધ મુદ્દે રજૂઆત કરી છે. જેમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચરાતાં હડકંપ મચી ગયો છે. પંથકમાં રૂપેણ નદીમાં પાણી નાંખી ચીમનાબાઇ તળાવ સુધી વહેતું કરવુ, પંથકના ખેડૂતોને સિંચાઇના પાણી માટે ધરોઇ કમાન્ડમાં સમાવેશ કરવો, સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇનમાં વધારો કરવા સહિતના મુદ્દે રજૂઆત કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ખેડૂતો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. તાજેતરમાં જ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો તૈયારીમાં લાગ્યા છે. આ તરફ ડાવોલ, વરેઠા, ડાલીસણા સહિત પંથકના ખેડૂતોએ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું હતુ કે, પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો ડાલીસણા તાલુકા પંચાયતની અને ડભાડ જીલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની તૈયારી છે.
ખેડૂતોનું માંગ છે કે, કુડા ફીડરથી વરસંગ તળાવ સુધી સુજલામ-સુફલામ યોજનામાં સરકારી તળાવો ભરવા માટે પાઇપલાઇન નાંખેલ છે. તે પાઇપલાઇનમાં પાણી ચાલુ કરી વરસંગ તળાવ ભરી રૂપેણ નદીમાં પાણી નાંખીને ચીમનાબાઇ તળાવ સુધી વહેતુ કરવુ. આ સાથે ચોમાસા દરમ્યાન ધરોઇ યોજનાનું પાણી વહી જતુ હોઇ વધારાનો જથ્થો આ વિસ્તારના તળાવોમાં ભરવા યોજના મંજૂર કરવી. આ તરફ સુજલામ-સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્રારા વરેઠા, જસપુર અને ડાવોલ તળાવમાં પાણી નાંખવાની માંગ કરી છે.