અમદાવાદઃ વસ્ત્રાલ રતનપુરમાં ઘરમાં આગ લાગતાં શાળાના બાળકો ઉપર મોટી ઘાત ટળી
અટલ સમાચાર, (કિરણબેન ઠાકોર)
અમદાવાદના વસ્ત્રાલ રતનપુર ગામે બુધવારના રોજ એક ઘરમાં શોર્ટ સર્કીટ થતાં ઘરમાં રહેલ સર-સામાન આગ લાગવાથી બળી ગયો હતો. ઘર બંધ હાલતમાં હોઈ આ બનાવની જાણ થતા સમય લાગ્યો હતો. જેથી તેમાં રહેલ સર-સામાન બળી ગયો હતો. ઘટના ઘટેલ ઘરની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક ધોરણે બાળકો અને આજુબાજુના વિસ્તારના લોકો અને વિદ્યાર્થીઓને દૂર કરી દેતાં મોટી ઘાત ટળી જવા પામી છે. જેને લઈ હાશકારો અનુભવાયો હતો.
મળતી માહિતી અનુસાર વસ્ત્રાલ રતનપુર ગામે એક પટેલ પરિવારના ઘરમાં રહેલ ફ્રિઝમાં કરંટ પ્રસર્યો હતો. જેને ધીમે-ધીમે આખાય બંધ ઘરમાં ફેલાઈ ગયો હતો. જેનાથી બંધ હાલતમાં રહેલ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. અને તેમાં રહેલ તમામ માલ-સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં લોકો અને વહિવટીતંત્રને ખાસો સમય લાગ્યો હતો. પરંતુ બનાવ ધ્યાને આવતાં ઘરના માલિકને જાણ કરાઈ હતી. અને ફાયરબ્રિગેટને જાણ કર્યા બાદ 20 મિનિટ લાગી હતી. જે બાદ તાત્કાલિક ધોરણે આગ અને કરંટ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
Video:
આ તરફ બુધવારે શાળામાં ચાલુ દિવસ હોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા હતા. જેમાં મૂળ જે ઘરમાં આગ લાગી હતી તેના માલિક તે જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા હતા જેને લઈ ઘર બંધ હતું. આ બનાવ બાદ શાળાના બાળકો બનાવ સ્થળેથી દૂર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને વહિવટીતંત્રએ પણ યુદ્ધના ધોરણે કરેલી કામગીરીને લઈ મોટી જાનહાની બનતાં અટકી જવાથી હાશકારો અનુભવાયો છે.