અમદાવાદ: ફરી એકવાર મકાન ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી
અટલ સમાચાર, અમદાવાદ
અમદાવાદમાં આજે વહેલી સવારે દરિયાપુરનાં કોટની રાગ વિસ્તારમાં બંધ મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો છે. આ ઘર બંધ હોવાને કારણે કોઇ જાનહાની નથી થઇ. અહીં પડેલો કાટમાળ દૂર થઇ રહ્યો છે. સદનસીબે આ ઘરમાં કોઇ ન હતું જેથી કોઇ જ જાનહાનનીનાં સમાચાર મળ્યાં નથી. મહત્વનું છે કે શહેરમાં ગઇકાલે એક મકાન ધરાશાયી થયું હતું જેમાં મૃત્યુંઆંક 5 થયો છે.
મધ્યઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ‘વહેલી સવારે એએમસીને કોલ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમણે સમગ્ર કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી. આ મકાન ઘણું જ જર્જરિત હતું. જોકે સદનસીબે મકાન બંધ હતું એટલે કોઇ જાનહાની થઇ નથી. નીચે ઉભેલી રિક્ષા પર કાટમાળ પડતાં તેને નુકશાન થયું છે. એએમસીની ટીમે આસપાસનાં વિસ્તારને કોર્ડન કર્યો છે અને હાલ લોકોને ત્યાં ન જવા સૂચના આપી છે.
મહત્વનુ છે કે, ગઇકાલે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીમાં બંગલાવાળી ચાલીનું એક જૂનવાણી મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. ધડાકાભેર તૂટી પડેલા મકાનમાં રહેતાં ભાડૂઆતો અને માલિકો સાથે 10થી વધુ દટાયાં હતા. આ દુર્ઘટનામાં 5 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. 72 વર્ષ જૂનું મકાન જમીનદોસ્ત થયું છે. આ ઘટનામાં ઘવાયેલા લોકોને સારવાર અપાઈ રહી છે જેમાંથી 3ની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટનામાં 85 વર્ષના બળદેવ સૂરી, 75 વર્ષનાં વિમળાબેન સૂરી, 45 વર્ષના રાજેન્દ્ર સુરી, અને 36 વર્ષના આશા પટેલનું મોત થયું છે.