અમદાવાદઃ નાગરિકો પાસેથી પ્લાસ્ટિક ખરીદવા મ્યુનિસિપલ તંત્ર કલેક્શન સેન્ટર ખોલશે
અટલ સમાચાર, ડેસ્ક
પ્લાસ્ટિક વેસ્ટ ખરીદવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં ખાસ કેન્દ્રો ઊભાં કરાાશે. રાજ્ય સરકારના તાજેતરના પરિપત્રના આધારે કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા 11 સપ્ટેમ્બર 2019થી 27 ઓકટોબર 2019 સુધી પ્લાસ્ટિકમુક્ત ભારત વિષય પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરશે. જેમાં જનજાગૃતિ અભિયાન, તા.2 ઓકટોબર-ગાંધીજયંતીએ શ્રમદાન, તા.3 થી 27 સુધી પ્લાસ્ટિકમુકત દિવાળીના ભાગરૂપે એકઠા કરાયેલા પ્લાસ્ટિકનો નિકાલ એમ ત્રણ તબક્કામાં કામગીરી કરાશે.
સ્વચ્છતા ઝુંબેશ હેઠળ પ્યાલા બરણી, વાસણ ભંડારવાળાને પ્રોત્સાહન આપી પ્લાસ્ટિકની વસ્તુના બદલે અન્ય વાસણ આપવા, તહેવારોમાં ગિફટ પેક કરવા કે આપવા માટે કપડાંની થેલીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું. એનજીઓના સહકારથી ઘેર-ઘેરથી નકામાં કપડાં એકિત્રત કરી તેની બેગ બનાવીને નાગરિકોમાં વિતરણ કરવું. તમામ સ્થળ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો. હોટલના સંચાલકોને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વે કરાયેલા દેશવ્યાપી સંબોધનમાં પ્લાસ્ટિકમુક્ત ભારતનું આહ્વાન કરાયું હતું. તેના પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઉગ્ર ઝુંબેશ ચલાવી હતી.
તંત્રની ઝુંબેશથી પ્લાસ્ટિકના ઉત્પાદકો તથા વેચાણકર્તા અને વપરાશકારોમાં ફફડાટ ફેલાયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશ હવે અચાનક ઠપ્પ થવાથી પ્લાસ્ટિકનો માલ રાજ્યનાં નાનાં શહેરોમાં સગેવગે કરવા તંત્રએ વેપારીઓને અંદરખાનેથી સમય આપ્યો હોવાની ચર્ચા ઊઠી છે.
આ ઉપરાંત કેટલાક અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના નામે તોડબાજી શરૂ કરી હોઇ 50 માઇક્રોનથી વધુની ઝભલા થેલી પર પ્રતિબંધ ન હોવા છતાં વેપારીઓની ખોટી રીતે હેરાન કરાતા હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી વેપારીઆલમે કરી હતી. આથી આગામી 27 ઓકટોબર સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે સત્તાધીશો જનજાગૃતિ અભિયાન શરૂ કરનાર છે.
દરમિયાન આ અંગે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વડા હર્ષદ સોલંકીને પૂછતાં, નાગરિકો પાસેથી પ્લાસ્ટિક ખરીદવા તંત્ર સિવિક સેન્ટર, મસ્ટર સ્ટેશન, મ્યુનિસિપલ ઓફિસ વગેરે સ્થળોએ પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ઊભાં કરશે.