અંબાજી ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની ભવ્ય ઉજવણી કરાઇ
અટલ સમાચાર, પાલનપુર
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અંબાજી ચાચર ચોકમાં રાસ અને ગરબાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ગુજરાતભરમાંથી વિવિધ કલ્ચરલ ગ્રૃપ અને શાળાના વિધાર્થીઓ દ્વારા ગરબો-રાસ, ઘુમ્મર, મહિષાસુર મર્દિની, પ્રાચીન ગરબો, સતરંગી, સેમી ક્લાસીકલ, હઠિંગો રાસ, ટીપ્પણી નૃત્ય, ભગવતી નૃત્ય, ભગવતી સ્ત્રોત અને અર્વાચીન ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. જેને માઇભક્તો અને દર્શકોએ રસપૂર્વક નિહાળ્યા હતા.
આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં દાંતા પ્રાંત અધિકારી કે. એન. ચાવડાએ જણાવ્યું હતુ કે રાજય સરકારના રમત-ગમત વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરપૂર અંબાજી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમણે વિવિધ કૃતિઓ રજૂ કરનાર કલાકારો અને શાળાના વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે માતાજીના ગરબાનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. તેમણે ઉમેર્યુ કે સુવર્ણશિખરથી શોભતું મા અંબાનું ધામ આજે ઉત્સવમાં તરબોળ બન્યું છે.