અંબાજીઃ ભાદરવીના મહામેળાને લઇ યાત્રાધામ વિકાસ મંત્રીની બેઠક
અટલ સમાચાર, અંબાજી(રિતિક સરગરા)
યાત્રાધામ અંબાજીમાં 8 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે. આ મેળામાં 25 થી 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેને લઈ જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓએ કરેલી મેળાલક્ષી કામગીરીને લઇ રાજ્યના યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપ ઠાકોરએ અંબાજી મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જેવા તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી હતી.
અંબાજી મેળામાં આવતા પદયાત્રીઓને સંપૂર્ણ સુરક્ષા સહિત તમામ પ્રકારની સુખ સુવિધા મળી રહે અને યાત્રિકોને કોઇ પરેશાની ન નડે તે માટેના કડક પણે સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની ભીડના કારણે રસ્તાઓ સાંકડા બની જતા હોય છે.
આવા સમયે કોઈ દુર્ઘટના બને તો ઝડપથી પહોંચી જવા માટે મેળામાં મોટર સાયકલ, ફાયર બ્રિગેડ સહીત આરોગ્યલક્ષી સેવાઓ પણ મોટરસાયકલ સાથે ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય મંત્રી દિલીપ ઠાકોરએ જણાવ્યું છે. આ મેળામાં અંબાજી ખાતે મફત ભોજન વ્યવસ્થા , 11૦૦ જેટલી એસ.ટી. બસો, આરોગ્યલક્ષી સુવિધા માટે 15 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ફાળવી હોવાનું જણાવ્યું હતું.