રોષ@ધાનેરાઃ પ્રા.શાળાના આચાર્યથી આખું ગામ વિરોધમાં, હટાવવા માંગ
અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)
ધાનેરા તાલુકાની વક્તાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગ્રામજનો નારાજ થઇ તાલુકા શિક્ષણાધિકારીને પત્ર લખી દૂર કરવા માંગ કરી છે. શિક્ષણાધિકારીને પત્ર લખ્યાને પાંચ દિવસ વિતવા છતાં પણ તંત્રએ આચાર્ય વિરૂધ્ધ કોઇ કાર્યવાહી ન કરતાં ગ્રામજનો નારાજ બન્યા છે. ઝડપથી આ બાબતે નિર્ણય નહી કરાય તો આંદોલનની સાથે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.
વક્તાપુરા સરપંચ સામે ગ્રામજનો અને બાપલા વક્તાપુરાના સરપંચે મોરચો માંડ્યો છે. અને આક્ષેપ સાથે 50 ગ્રામજનોની સહી સાથે માંગ કરી રહી છે કે, વક્તાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ દરજી મનસ્વીપણું રાખી બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યા છે. તેમજ સરકાર તરફથી શાળાના વિકાસ માટે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. આમછતાં ગામમાં દાતા શોધતા હોય છે. જેથી તેઓ બાળકોના શિક્ષણ સુધારામાં રસ લેવાની જગ્યાએ ભૌતિક સુવિધાઓ તરફ વધુ રચ્યાપચ્યા રહે છે તેમ ગામલોકોએ તાલુકા શિક્ષણાધિકારીને પત્ર લખી જાણ કરી છે. આચાર્યનું વાલીઓ સાથેનું વર્તનને લઇ પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો
આમ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરી 50 ગ્રામજનોએ વહેલી તકે આચાર્યને દૂર કરવા માંગ કરી છે. આમછતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં વિલંબ થશે તો મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. અને જરૂર પડે આંદોલન કરવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી દીધી છે.