ચિંતા@અંબાજી: વાવણી લાયક વરસાદ વગર ખેડુતોની મુંઝાવણ વધી
અટલ સમાચાર,અંબાજી(રિતિક સરગરા)
ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ કહેર વર્તાવી રહ્યો છે ને જાણે બરાબરનું ચોમાસુ બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જો કે બનાસકાંઠાના અંબાજી સહિત દાંતા તાલુકામાં વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે. આ વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદના પડેલા હળવા ઝાપટાંથી ઘાસને લીલોતરીતો ઉગી નીકળી છે. ખેડૂત આજે પણ માત્ર ખેતરમાં ખેડ કરી જમીન પોચી કરી રહયો છે પણ હજી બિયારણનું વાવેતર કર્યું નથી.
અંબાજી-દાંતા પંથકમાં પડી રહેલી ગરમીના પગલે બિયારણ બળી જવાના ડરથી હજી બરોબર વરસાદ પડે પછી જ વાવેતર કરવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. જોકે અંબાજી પંથકમાં પડેલા પ્રથમ વરસાદી ઝાપટાને લઈ કેટલાક ખેડૂતે બિયારણનો વાવેતર તો કરી નાખ્યું અને સામાન્ય વત ઊગી પણ ગયું છે, પણ હાલમાં આ વરસાદ ખેંચાતાતે ઉગેલો બિયારણ બળી જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.
જોકે અંબાજી દાંતા પંથકના વરસાદ ગત વર્ષની સરખામણીએ મોડો ચોક્કસ પડ્યો છે તેથી ખેડૂતો પણ મોડા વરસાદને લઇ ચિંતાતુર બન્યો છે. ખેડુતો બિયારણનું વાવેતર ક્યારે કરવું ? અને જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તેમને કઈ રીતે ઉગાડવું તે પ્રશ્ન સતત ખેડૂતોને સતાવી રહ્યો છે.