ચિંતા@દેશઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7964 કેસ, 265 લોકોના મોત
અટલ સમાચાર, ડેસ્ક
ભારતમાં કોરોના વાયરસનો ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં રેકૉર્ડ વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં 7964 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ઊછાળો છે. આ દરમિયાન 265 લોકોનાં મોત થયા છે. આ તમામ માઠા સમાચાર વચ્ચે સારા સમાચાર એ છે કે ગત 24 કલાકમાં દર્દીઓ સાજા થવા અંગે રેકૉર્ડ બન્યો છે. આ દરમિયાન 11 હજારથી વધારે દર્દી સાજા થયા છે. આ કારણે દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસની સંખ્યા વધવાને બદલે ઘટી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દેશમાં શુક્રવારે 11,264 દર્દી સાજા થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. અત્યાર સુધી દેશમાં 82,370 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. ભારતમાં હવે રિકવરી રેટ 47.40 પર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે તેમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. દેશમાં જ્યારે પ્રથમ લૉકડાઉન લાગૂ થયું હતું ત્યારે દર્દીઓ સાજા થવાનો દર 7.1% હતો. બીજા લૉકડાઉન દરમિયાન આ દર 11.42% હતો. જે બાદમાં તેમાં વધારો થયો હતો અને રિકવરી રેટ 26.59% થયો હતો. 18 મેના રોજ જ્યારે લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થયો ત્યારે આ આંકડો 38% સુધી પહોંચી ગયો હતો. હવે આ દર 47%ને પાર કરી ગયો છે. આગામી દિવસોમાં તે વધવાની આશા છે.
ભારતમાં હવે ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે. ગત 24 કલાકમાં સૌથી વધારે 1,27,761 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. અત્યાર સુધી ભારતમાં 3,611,599 ટેસ્ટ થઈ ચુક્યા છે. સરકારનો દાવો છે કે દરરોજ દોઢ લાખથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવશે. બીજા દેશની સરખામણીમાં ભારતમાં મોતનો દર ખૂબ ઓછો છે. અહીં કોરોનાના 2.86 ટકા દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. આ યાદીમાં બેલ્જિયમ ટોંચ પર છે. અહીં 16.24% દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. ફ્રાંસમાં આ આંકડો 15.37% છે. ઇટાલી અને બ્રિટનમાં મોતનો દર 14% આસપાસ છે. જ્યારે અમેરિકામાં 5.83 ટકા દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. અહીં તાજેતરમાં મૃત્યુદરમાં થોડો સુધારો થયો છે.