ધરપકડ@મનરેગા: ફરિયાદ બાદ પોલીસે 4 કરારીને પકડ્યા, એજન્સીના કોન્ટ્રાક્ટરો તેમના આકાઓના શરણે

 
મનરેગા
તપાસનો ધમધમાટ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ખુદ આઇએએસ અધિકારી એવા નિયામકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. મનરેગા યોજનામાં ભયંકર અને ભય વગરનો ભ્રષ્ટાચાર આચરી બેફામ બનેલા ઉપર સર્જીકલ સ્ટ્રાઈક જેવી હાલત થઇ ત્યારે તાત્કાલિક અસરથી 4 કરારી કર્મચારીઓની ધરપકડ થઈ છે. ડીવાયએસપીએ માહિતી આપી કે, નિયામકની ફરિયાદ બાદ તુરંત કાર્યવાહી કરી ગ્રામ રોજગાર સેવક અને એકાઉન્ટન્ટને અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પરિસ્થિતિ જોઈ એજન્સીના કોન્ટ્રાક્ટરોની હાલત ચિંતાજનક બની છે અને તેઓ તેમના આકાઓના શરણે જાય તેવી શક્યતા છે. કેમ કે, નિયામકની ફરિયાદમાં એજન્સીઓની મિલીભગત હોઈ પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડો કરી શકે તેવી પ્રબળ શક્યતા છે. વાંચો નીચેના ફકરામાં.

મનરેગા યોજના થકી માત્ર ચાર વર્ષમાં બારીયાના 2 અને ધાનપુરના 1 એમ 3 જ ગામમાં કરોડોનું કૌભાંડ થયું છે ત્યારે કલ્પના કરો કે, સમગ્ર જિલ્લામાં કેટલી લૂંટ ચલાવી હશે. ખુદ નિયામકે તપાસ બાદ આપેલી પોલીસ ફરિયાદમાં ત્રણ ગામમાં કૌભાંડ થયાનું ખુલતાં ગંભીર પ્રકારની કલમો હેઠળ ગુનો દાખલ થતાં ચકચાર મચી ગઇ છે. ગુનો દાખલ થયો હોઈ પોલીસે પણ તાત્કાલિક અસરથી મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ તથા મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે. આ કરારી કર્મચારીઓની ધરપકડ કરી ડીવાયએસપીએ વિગતો રજૂ કરી છે ત્યારે તપાસનો ધમધમાટ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આથી ફરિયાદમાં દર્શાવેલ મિલીભગતવાળી એજન્સીઓ કે જે એલ1 નહોતી તેમની ઉપર લટકતી તલવાર જેવી હાલત છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જે એજન્સીઓ મનરેગા હેઠળ મટીરીયલ આપવા/ખરીદવા માટે માન્ય નહોતી છતાં કરોડોની ગ્રાન્ટ આપી અને લઈ લેવામાં આવી છે. આથી ગ્રાન્ટ આપનાર અને લેનાર એજન્સીના ઠેકેદારોને રેલો આવી શકે છે. ફરિયાદની વિગતો મુજબ કર્મચારી અને એજન્સીઓની મિલીભગતથી કૌભાંડ થયું હોઈ ઠેકેદારોને બીલો બાબતે પોલીસ પૂછપરછ કરી શકે છે. જો તપાસમાં કંઈપણ ગેરરીતિ કે મિલીભગતથી ઉચાપત માલૂમ પડશે તો એજન્સીના કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થઈ શકે છે, તેથી આ એજન્સીના ઠેકેદારો હવે તેમના આકાઓના શરણે જઈ મામલો રજૂ કરી રહ્યા છે. જોકે જાણકારો કહે છે કે, ગાંધીનગરથી સ્પષ્ટ સુચના છે કે, કૌભાંડીના આકા ગમે તે હોય કોઈપણ સંજોગોમાં સરકાર સાથે વિશ્વાસઘાત કરનારને છોડવા નહિ આથી પોલીસે પણ તાત્કાલિક અસરથી તપાસ તેજ બનાવી દીધી છે.