આગમન: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરના શાહી સ્વાગત માટે તૈયારીઓ શરૂ
અટલ સમાચાર, મહેસાણા
ગુજરાતમાં તાજેતરમાં રાજ્યસભાની બે સીટો માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં જુગલજી ઠાકોર રાજ્યસભા સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતા.રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર બુધવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા.
સાંસદ જુગલજી ૧૩ જુલાઇને શનિવારે ગુજરાત પરત ફરવાના હોઇ સમસ્ત ઠાકોર સમાજ અને તેમના સમર્થકો ઘ્વારા તેમનું શાહી સ્વાગત કરવાનું આયોજન કરાયુ છે. જેને લઇ મહેસાણામાં તેમના રાજવંશી ફાર્મહાઉસમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં આ નિર્ણય લેવાયો છે.
મહેસાણાના સુખપુરડા ગામે સાંસદ જુગલજી ઠાકોરના ફાર્મહાઉસ ખાતે ગુરૂવારે બપોરે તેમના સમર્થકો અને ઠાકોર સમાજની આગેવાનીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં સાંસદ જીગલજી ઠાકોર શનિવારે દિલ્હીથી ગુજરાત પરત ફરવાના છે. તેમના શાહી સ્વાગત માટે તૈયારીના ભાગરૂપે મળેલી મીટીંગમાં નકકી કરાયુ છે કે, અમદાવાદ એરપોર્ટથી મહેસાણા સુધી ઠેર-ઠેર તેમના સમર્થકો અને આગેવાનો તેમનું સ્વાગત કરશે.
સાંસદ જુગલજી ઠાકોર શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે ત્યારે, અમદાવાદ એરપોર્ટથી તેઓના નિવાસસ્થાન મહેસાણા સુધી રસ્તામાં આવતા સ્થળો જેવા કે કોબા સર્કલ, અડાલજ, સઈજ, કલોલ-વર્કશોપ,અંબિકા,સિંધબાજ, છત્રાલ, નંદાસણ, ગણેશપુરા, કૈયલ, મંડાલી, ભાસરિયા, બાલિયાસણ, અંબાસણ, ધોળાસણ, દિતાસણ, જગુદણ, મેવડ, શિવાલા સર્કલ,સુખપુરડા, પાલાવાસણા, નાગલપુર વગેરે વિવિધ સ્થળે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને જાહેર જનતા દ્વારા ઢોલ-નગારા સાથે ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેવું નકકી કરાયું છે.