અરવલ્લીઃ બિનસચિવાલય પરીક્ષા રદ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
અટલ સમાચાર, ભિલોડા
બિનસચિવાલય ક્લાર્કની જગ્યા માટે અગાઉ ભારે વિવાદ વચ્ચે 17- નવેમ્બર-2019 ના રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતના અમુક જીલ્લાઓમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હતી. જેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા હતા. તેમ છતાં સરકાર હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા બેરોજગાર યુવાનો સાથે સરકાર મજાકરૂપી પરીક્ષા લઈ રહી હોય તેવો પરીક્ષાર્થીઓ અહેસાસ અનુભવી રહ્યા છે.
બિનસચિવાલય લેખિત પરીક્ષાને લઈ ભારે વિવાદ સર્જાયો છે. અને પરીક્ષાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરીથી પરીક્ષા યોજવામાં આવે તેવી માંગ કરી હતી. તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સમય પૂર્ણ થવા છતા અમુક વિદ્યાર્થીઓને પેપર લખવા દેવાયું હતું. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ કર્યા છે. ઉપરાંત ઉમેદવારો પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર પરીક્ષાને લઈ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
અરવલ્લી જીલ્લામાં સૂત્રોચ્ચાર કરી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની-3901 જગ્યા માટે 10.45 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા અને અંદાજે 8 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. અમુક કેન્દ્રોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાથી પરીક્ષા રદ કરવામાં આવે એવી માંગ કરી હતી.