વિધાનસભા@વાવ: ગેનીબેન બોલ્યાં, 90% નેતાના સંતાનો સરકારી શિક્ષણ નથી લેતા
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
વિધાનસભા સત્ર દરમ્યાન આજે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અચાનક શિક્ષણને લઇ સૌથી ગંભીર સવાલ કર્યો હતો. માફીની શરૂઆત સાથે કેટલા અધિકારી અને પદાધિકારીઓના સંતાનો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો અથવા કર્યો છે. આ સવાલ સાથે ગેનીબેને સ્વયં જવાબ પણ આપી દેતાં ગૃહમાં ઘડીભર ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ હતી. 90% નેતાના સંતાનો સરકારી પ્રાથમિક શાળાને બદલે ખાનગી શાળામાં શિક્ષણ લેતા હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ કરતા હડકંપ મચી ગયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાની વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે ગૃહમાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ વર્ણવી છે. રાજ્ય સરકાર સરકારી પ્રાથમિક શાળાને પ્રોત્સાહન માટે ભલે મથી રહી હોય પણ વાસ્તવિકતા કંઇક અલગ હોવાનો સવાલ અને જવાબ કર્યો છે. મુદ્દો ઉઠાવતા પહેલા ગેનીબેને ગૃહમાં તમામની માફી માંગી 90% નેતા અને કર્મચારીઓના સંતાનો સરકારીને બદલે ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષણ અપાવતાં હોવાનો ચિતાર રજૂ કર્યો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રશ્નકાળ દરમ્યાન અધ્યક્ષે વાસણભાઇ આહિરનો દાખલો આપી સરકારનો પક્ષ મુક્યો હતો. જોકે ગેનીબેને પાંચ-દસ ટકા જ નેતા અને અધિકારી સરકારી શાળા પ્રત્યે જાગૃત ગણાવ્યા છે. જ્યારે મોટાભાગના અધિકારી અને પદાધિકારી એટલે કે સરપંચથી માંડી સંસદ અને પટાવાળાથી માંડી કલેક્ટર સુધીના પોતાના સંતાનોને ખાનગી પ્રાથમિક શાળાનું શિક્ષણ અપાવતાં હોવાનો આક્ષેપ કર્યો છે. સવાલ-જવાબને પગલે ગૃહમાં મોટાભાગના ધારાસભ્યોની પરિસ્થિતિ કફોડી બનવા તરફ હતી.