હૂમલો@ડીસાઃ અગાઉની અદાવત રાખી આડેધડ તલવારના ઘા મારી આરોપી ફરાર
અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)
ડીસા-પાલનપુર હાઈવે રોડ આગળ સેવા કેમ્પ ચાલુ હતો. જ્યાં એક શખસ અગાઉની અદાવત રાખી તલવાર સાથે ધસી આવ્યો હતો. અને આરોપીએ આડેધડ તલવારના ઘા ઝીંકી જીવલેણ હૂમલો કરતા વિસ્તાર સહિત શ્રધ્ધાળુઓમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. હૂમલો કર્યા બાદ લોકો એકઠા થઈ જતાં આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે અંગેની ડીસા રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
ડીસા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર જીવલેણ હૂમલો કરનાર આરોપી નરેશ રાઠોડને કૌટુંબીક મામલા અંગે ઠપકો આપ્યો હતો. ઠપકો આપનાર રણજીતજી રાઠોડને તે સમયે નરેશ રાઠોડે ભારે પડી જશે તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટનાની અદાવત રાખી આરોપી ડીસા-પાલનપુર હાઈવે રોડ પર ભોયણ સીમમાં આવેલ આઈમાતા મંદિર આગળ સેવા કેમ્પ ચાલતો હતો ત્યાં તલવાર સાથે પહોંચી ગયો હતો.
જ્યાં સેવા અર્થે ભાભર તાલુકાના ભોડાળીયા ગામના રણજીતજી રાઠોડ પણ સેવા કાર્યમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન આરોપી નરેશ રાઠોડ (રહે.ડીસા, તા.ડીસા) ક્રાઈમ કરવાના ઈરાદે આવી એકાએક રણજીતજી રાઠોડ ઉપર તલવાર વડે આડેધડ ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. આ ઘટનાથી શ્રધ્ધાળુઓમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે સેવા કેમ્પમાં ફરજ બજાવી રહેલ લોકો અને આસ્થાળુઓ એકઠા થઈ જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.
જોકે, ઈજાગ્રસ્ત રણજીતજીને ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ ગંભીર ઈજાઓને લઈ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની ર્ડાક્ટરે સલાહ આપી છે. જે અંગેની ઈજાગ્રસ્તના ભાઈએ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેની પોલીસ વધુ તપાસ હાથ ધરી જીવલેણ હૂમલાખોરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.