જાગૃતિ@અમદાવાદ: કોરોના સંક્રમણથી બચવા સોસાયટીએ કર્યુ આ કામ
અટલ સમાચાર,ડેસ્ક
કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના વેજલપુરની એક જાગૃત સોસાયટીએ વાયરસના સંક્રમણથી બચવાનો જોરદાર આઈડિયા લગાવ્યો છે. સોસાયટીના સભ્યોએ ગેટ પર થેલીઓ ટીંગાડી દીધી છે અને ફેરીયાઓને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોસાયટીના સભ્યો જે પણ વસ્તુઓ મંગાવે તે ફેરિયાઓ ગેટ પર લગાવવામાં આવેલી થેલીઓમાં મૂકી જાય છે. વેજલપુરના અતુલ્યમ ફ્લેટસના રહીશોએ પણ કોરોનાના સંક્રમણથી બચવા જાગૃતિ બતાવી છે. આવી જ જાગૃતિ જો શહેરમાં દરેક સોસાયટી ફેલાવશે તો આપણે કોરોના સામે બહુ ઝડપથી જંગ જીતી લઈશું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ અતુલ્યમ ફ્લેટસમાં આવો આઈડિયા કરવામાં આવ્યો છે. જે પ્રકારે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને તેમાંય શાકભાજીના ફેરિયા અને વેપારીઓના કેસ પોઝિટિવ આવતા સોસાયટીઓ વધુ સતર્ક બની છે. અતુલ્યમ ફ્લેટસના મેમ્બર અમ્રિતા સીંગે જણાવ્યું કે કોરોના વાયરસના કેસ વધતા સોસાયટીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. સોસાયટીનો આ નિર્ણય સરાહનીય છે. આટલું જ નહીં સોસાયટીમાં જે કોઈ લોકો પ્રવેશ કરે છે તેમના હાથ સિક્યુરિટી ગાર્ડ સેનિટાઇઝ કરાવે છે. અજાણ્યા લોકોને સોસાયટીમાં પ્રવેશ આપતા નથી. આ ઉપરાંત હવે સોસાયટીના ગેટ પર જ બેગ્સ અને થેલીઓ લગાવી છે, જેનાથી કોઈ ફેરિયો પણ અંદર પ્રવેશી ન શકે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ બેગ્સ પર જે તે ફ્લેટનો નંબર લખેલો છે. જે કોઈ પણ ફેરિયા પછી તે દૂધવાળો હોય, પેપરવળો હોય કે પછી શાકભાજીવાળો હોય, તે વસ્તુઓ થેલામાં મૂકી જાય છે. ત્યારબાદ સિક્યુરિટી મેમ્બરને ફોન કરી જાણ કરે છે. અને મેમ્બર આવીને વસ્તુઓ લઈ જાય છે. આનો બીજો ફાયદો એ છે કે કોઈ પણ મેમ્બર ફેરિયાના સીધા સંપર્કમાં આવતા નથી.
એટલું જ નહીં, સોસાયટી ખાતે સુરક્ષા ગાર્ડને પણ વસ્તુઓને ડિસઇન્ફેક્ટ કરવાની તાલિમ આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે કોરોના વાયરસના કેસ વધતા શહેરમાં ઘણી સોસાયટીઓએ પોતાની જાગૃતિ બતાવી છે. કોઈએ સેનિટાઈઝર ટનલ લગાવી છે તો કોઇએ સોસાયટીમાં ટાસ્ક ફોર્સ બનાવીને જાગૃતિ બતાવી છે. અમુક સોસાયટીએ પોતાના નિયમો કડક બનાવી લોકોને ઘરમાં રહેવા પ્રેરણા આપી છે.