બેચરાજી: સાંપાવાડા પંથકની નર્મદા કેનાલોમાં બાવળોના ઝુંડ, ખેડુતોમાં આક્રોશ
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
બેચરાજી તાલુકાના સાંપાવાડા પંથકની કેનાલોમાં સાફ-સફાઇને લઇ ખેડુતોમાં આક્રોશ જોવા મળી રહયો છે. ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદા વિભાગ ઘ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી માઈનોર કેનાલોની સાફ સફાઈ કરવામાં આવતી નથી, કેનાલોમાં સાફ સફાઈમાં કોન્ટ્રાકટર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાથી ખેડુતોએ તંત્ર ઉપર ભારે રોષ ઠાલવ્યો છે.
ચોમાસા પહેલા કેનાલોની સાફ-સફાઇ કરવાનો સમય પૂરો થઈ ગયો હોવા છતા સાંપાવાડા, સૂરજ માઈનોર કેનાલોમાં સફાઈ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે. સફાઈ કામના નામે ગોલમાલ કરતા લેભાગુ કોન્ટ્રાકટર સામે શિક્ષાત્મક પગલાં ભરાય તેવી ખેડૂતોની માંગ છે. બીજી બાજુ સૂરજ ગામમાંથી પસાર થતી પ ટી માઈનોર છેલ્લા ૬વર્ષથી તૂટેલી પડી છે અને હજુ સુધી રીપેરીંગ કરવામાં આવી નથી.
સમગ્ર બાબતે નર્મદા વિભાગના ઇજનેર આર.ડી.પરમારે ખેડુતો ઉપર સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, ખેડુતો સાંપાવાડા પંથકને પુર અસરગ્રસ્ત ગણતા હોવાથી કેનાલને બદલે પાઇપ લાઇન ગોઠવવાનો આગ્રહ કરી રહયા છે. જેના કારણે મરામત કે સાફસફાઇ થઇ શકતી નથી.