બનાસકાંઠાઃ લીલા દુષ્કાળથી ખેતીને થયેલ નુકશાન સામે વળતર આપવા ખેડૂતોની માંગ
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લીલો દુષ્કાળ થયો હોવાથી હજારો હેકટર જમીનમાં વાવેતર કરેલો પાક નાશ થયો છે. મુશળધાર વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું દીધુ છે. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. સુઇગામમાં આસોની શરૂઆતમાં વરસેલા મુશળધાર વરસાદે કહેર વરસાવતાં જગતના તાતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરહદી સુઇગામ તાલુકામાં ચોતરફ ખેતરોમાં પાણી જ પાણી હોઈ, તૈયાર થયેલા અને વાવેતર કરેલા ખેતીપાકો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોના સ્વપ્નાં રોળાઈ ગયા છે.
લીલા દુષ્કાળથી થયેલ નુકશાન સામે વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાની માઠી દશા બેઠી હોય તેવું ખાસ કરીને ખેડૂતો મહેસુસ કરી રહ્યા છે. બબ્બે વખતના વિનાશક પુર અને ગત વર્ષે દુષ્કાળનો સામનો કરી ચાલુ સાલે ખેડૂતોને સારી ફસલની આશાએ શરૂઆતી વરસાદમાં ખેતીપાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ લણણી અને કાપણી માટે તૈયાર થયેલા જુવાર, બાજરી, ગવાર, મગ, મઠ ઉપરાંત વાવેતર કરેલ દિવેલા કપાસ વિગેરે પાકોમાં આસોની શરૂઆતમાં વરસેલા મુશળધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
મુશળધાર ખાબકેલા વરસાદને લીધે ખેતરો બેટમાં ફેરવાઈ ગયાં છે. જેના લીધે ખેતીપાકોનું મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ત્યારે સરહદી સુઇગામ તાલુકાના ખેડૂતોને થયેલ આ મોટા નુકશાન સામે સરકાર દ્વારા નુક્શાનનું વળતર આપવામાં આવે તેવી ખેડૂત આલમમાંથી માંગ ઉઠવા પામી છે. કુદરતના કહેરનો વારંવાર ભોગ બનતા ખેડૂતોની દર્દસભર માંગણીને ધ્યાને રાખી સરકાર દ્વારા તાકીદે સર્વે કરી ખેડૂતોને વળતર આપવા ખેડૂત આલમ માંથી માંગ કરવામાં આવી છે.
સુઇગામ ગ્રામ પંચાયત દ્વારા પાક-વીમો આપવા લેખિત રજુઆત કરી છે. ચાલુ સાલે 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સતત વરસાદથી સરહદી સુઇગામ તાલુકામાં ખેતીપાકોને વ્યાપક નુકશાન થયેલ થયુ હોવાથી સુઇગામ ગ્રામ પંચાયત દ્વારા પાકવિમાનું પ્રીમિયમ લેતી જનરલ ઇન્સ્યોરન્સ સોપો વીમા કમ્પની દ્વારા તમામ નુકશાન ગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઇ નુકસાનનો સર્વે કરી પાકવીમાનું વળતર ચૂકવાય તેવી લેખિત માંગ કરવામાં આવી છે.
આ અંગે સરપંચ વિહાજી રૂપાણીએ જણાવ્યું કે, સરહદી સુઇગામ તાલુકામાં મુશળધાર ખાબકેલા વરસાદથી ખેતીપાકોને મોટાપાયે નુકશાન થયું હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાકધીરાણમાં વીમા પ્રીમિયમ લેતી વીમા કંપનીએ ખેડૂતોને પાક નુકસાનનો સર્વે કરી નુક્શાનનું વળતર આપવું જોઈએ, તેમ જ સરકાર ને પણ વિનંતી કે ખેડૂતોને પાક નુકશાન સામે યોગ્ય પેકેજ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ થાય તેવી રજુઆત કરી છે. અહેવાલ તસ્વીર સુઇગામ