બનાસકાંઠા: જીલ્લાના 191 ગામમાં ગૌચર ના હોવાનો વિધાનસભામાં ઘટસ્ફોટ
અટલ સમાચાર, ગાંધીનગર
વિધાનસભામાં પાંચમા દિવસે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ગૌચર વિશે પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, બનાસકાંઠા જિલ્લામાં 191 ગામમાં ગૌચર જ નથી. રાજ્યના 1019 ગામમાં ગૌચરની ઘટ છે અને માત્ર 40 ગામમાં જ પુરતુ ગૌચર હોવાનો ખુલાસો જાતે કર્યો છે. રાજ્ય સરકારના નાક નીચે ગૌચર જમીન વેચવાનું કૌભાંડ ખુલ્લેઆમ કેટલાયે સમયથી ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઇ રહયુ છે.
બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકામાં 1 લાખ 21 હજાર 275 ચોરસ મીટર ગૌચર જમીનનું વેચાણ થયું છે, જ્યારે અરવલ્લી જિલ્લાના 4 તાલુકામાં 60 હજાર 016 ચોરસ મીટર ગૌચર જમીનનું વેચાણ થયું છે. બનાસકાંઠામાં હાલ 59 કરોડ 63 લાખ 77 હજાર 816 ચોરસમીટર ગૌચરની જમીન છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં 13 કરોડ 25 લાખ 900 ચોરસમીટર ગૌચરની જમીન છે.
ગૌચર મામલે લાખોની રકમ લઈ સરપંચ અને અન્યોને લ્હાણી કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે શરત ગ્રામ પંચાયત, પેછડાલ ગ્રામ પંચાયતમાં ગૌચરના ખોટા આદેશ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ હકીકતનો ખુલાસો બનાસકાંઠા DDO અને TDOની તપાસમાં થયો છે. ગૌસેવા અને ગૌચર બોર્ડ ગાંધીનગરના હુકમ નકલી હોવાનો ખુલાસો પણ આ ઘટનામાં થયો છે.