બનાસકાંઠા: રાયડાની બાકી ખરીદી કરવા આવેદનપત્ર, ધારાસભ્યોનો CMને પત્ર
અટલ સમાચાર,ડીસા,કાંકરેજ,સુઇગામ (અંકુર ત્રિવેદી,રામજી રાયગોર,દશરથ ઠાકોર)
બનાસકાંઠા જીલ્લામાં ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવાને લઇ વારંવાર હોબાળો થતો જોવા મળી રહયો છે. જેને લઇ બનાસકાંઠાના ધાનેરા,દિયોદર,વાવ,પાલનપુર અને દાંતા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી બાકી રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માંગણી કરી છે. તો બીજી તરફ બુધવારે ધાનેરા મામલતદારે રાષ્ટ્રિય કિસાન સંગઠન ઘ્વારા નોંધાયેલા માલની બાકી ખરીદી કરવામાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ખેડુતો જોડાયા હતા.
બનાસકાંઠા જીલ્લામાં રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા ખરીદ સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ હતુ. જોકે કોઇ કારણસર સરકાર ઘ્વારા રાયડાની ખરીદી બંધ કરી દેવાતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા, પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ અને દાંતા ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી ઘ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર બાબતે ઘટતુ કરવા માંગ કરી છે.
મહત્વનું છે કે, ધાનેરા તાલુકામાં રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે 9600ની ઓનલાઈન નોંધણી કરવામાં આવેલી છે. જેની સામે 4000 જેટલા જ ખેડૂતોના માલની ખરીદી કરાઇ છે. જેથી રાષ્ટ્રિય કિસાન સંગઠન ઘ્વારા વી.કે.કાગની આગેવાનીમાં પણ ધાનેરા મામલતદારને રાયડાના ટેકાના ભાવથી નોંધાયેલ માલની ખરીદી કરવા માંગ કરવામાં આવી છે. તેમના ઘ્વારા સાત દિવસની ચિમકી પણ ઉચ્ચારાઇ છે કે, જો તેમની સમસ્યાનું સમાધાન ૭ દિવસમાં નહી આવેતો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.