બનાસકાંઠા: 18 લાખના દાગીના ભરેલા થેલાની લૂંટ
અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠના ભાભરમાં ગઈકાલે રાતે લૂંટની ઘટના બની છે. ભાભરના એક સોના-ચાંદીનો વેપારી દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીનો થેલો આંચકી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ચૂંટણીના સમયે ચુસ્ત પોલીસબંદોબસ્ત અને નાકાબંધી હોવા છતાં લૂંટની ઘટના ઘટી હતી. વેપારીના થેલામાં સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડમ રકમ સહિત રૂપિયા 18 લાખની મત્તા હતી, જેની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગતો અનુસાર સોના-ચાંદીનો વેપારી રાત્રે દુકાન બંધ કરી ઘરે જઈ રહેલ ત્યારે બે અજાણ્યા બાઇક સવારો તેમની સામે આવ્યા હતા. વેપારી કઈ સમજે તે પહેલાં બંને લૂંટારૂ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલા વેપારીએ તાત્કાલીક પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના પગલે પોલીસે લૂંટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે વેપારીની દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરી રહી છે.