બેચરાજી: ભારે વરસાદથી બજારો પાણીમાં, રાંતેજમાં ઘરની દિવાલ ધરાશાયી
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
બેચરાજીમાં શુક્રવાર બપોર પછી શરૂ થયેલા વરસાદથી બજારોમાં પાણી ભરાઇ ગયા છે. તો બેચરાજી તાલુકાના રાજપુરા (રાંતેજ) ગામે ભારે વરસાદથી ઠાકોર પરિવારની દિવાલ ધરાશાયી થઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહોતી. સમગ્ર જીલ્લામાં શુક્રવારથી ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે.
મહેસાણા જીલ્લાના બેચરાજીમાં શુક્રવારથી ભારે વરસાદને લઇ બજારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા છે. બેચરાજીથી શંખલપુર જતા મહેશ્વરી સોસાયટી અને ગંજબજારમાં પાણી ભરાઇ જતા સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેચરાજીના રાજપુરા(રાંતેજ) ગામે ભારે વરસાદથી કુંવરજી હરચંદજી ઠાકોરના ઘરની દિવાલ ધરાશાયી થઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ ના સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, યાત્રાધામ બેચરાજી મંદિરના પશ્વિમી દરવાજાના માર્ગમાં વરસાદી પાણી ભરાતા યાત્રિકો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. વરસાદી પાણીનો નિકાલ કરતી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જવાના કારણે મંદિર માર્ગમાં પાણી ભરાવા પામ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બેચરાજી પંથકમાં શુક્રવારે ભારે વરસાદથી ખેડુતોના ચહેરા પર અલગ જ ચમક જોવા મળી હતી.