બેચરાજી-હારીજ હાઇવે પર નવીન પુલના લોકાર્પણ પહેલાં જ દીવાલમાં તિરાડ પડી
અટલ સમાચાર, મહેસાણા
આઠ કરોડ ખર્ચે બનાવેલ પુલની પ્રોટેકશન વોલ જર્જરિત હાલતમાં આવી ગઈ
બેચરાજીથી હારીજ તરફ જતા હાઇવે પર સાપાવાડા નજીક પંચાયત માર્ગ-મકાને પુલ બનાવ્યો છે. રૂપેણ નદી પસાર થતી હોઈ મહેસાણા જિલ્લા પંચાયતે ૧૫૦-૨૦૦ મીટરનો પુલ બનાવ્યો છે. હવે પુલનું લોકાર્પણ પણ થયું નથી અને તેની દિવાલમાં તિરાડો પડી ગઈ છે. પ્રોટેક્શન વોલમાં તિરાડોને પગલે ભવિષ્યમાં ભયજનક સ્થિતિ બની રહી છે.
મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગે આઠ કરોડના ખર્ચે બેચરાજી નજીક પુલ બનાવ્યો છે. અગાઉ ત્યાં બેઠી ડીપ હોઈ ચોમાસામાં વાહનવ્યવહાર અસરગ્રસ્ત બનતો હતો. હવે પ્રથમ વાર પુલ બન્યો હોઈ બારમાસી અવરજવરની વ્યવસ્થા બની છે. જોકે કરોડોના ખર્ચે બનેલ પુલની ગુણવત્તાને લઇ સવાલો ઉભા થયા છે. પુલની પ્રોટેક્શન વોલમા ઉદ્ઘાટન પહેલા જ તિરાડો દેખાઈ રહી છે. જિલ્લા પંચાયતે લોકાર્પણ કર્યું નથી પરંતુ વાહનચાલકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પસાર થતા સૌ કોઈ પ્રોટેક્શન વોલની સ્થિતિ જોઇ દંગ બની રહ્યા છે. આ અંગે જિલ્લા પંચાયતમાં ઇજનેર કે કે ગાંધીએ જણાવ્યું હતું કે સ્થળ તપાસ કર્યા બાદ આગળના પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાઇવે પરના પુલથી શંખેશ્વર, રાધનપુર અને પાટણ જઈ શકાય છે.