બનાવટ@બેચરાજી: વડાપ્રધાન ઓફીસથી આવ્યાનું કહી ઇસમો મંદીરમાં ઘુસ્યાં, ખબર પડતાં હડકંપ મચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
યાત્રાધામ બેચરાજીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વડાપ્રધાન કાર્યાલયના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી કેટલાંક ઇસમોએ ગત દિવસોએ મંદીરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી બનાવટ કર્યાનું ખુલ્યુ છે. જોકે પાછળથી આ ઇસમો બનાવટી હોવાનું જાણ થતાં ટેમ્પલ ટ્રસ્ટના ઇન્સ્પેક્ટરે તેમની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ આ ઇસમોએ અગાઉ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યુ છે.
મહેસાણા જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બેચરાજીમાં મંદીર દર્શન બાબતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ખારાધરવા ગામના(હાલ.મહેસાણા) ભરતકુમાર રણછોડભાઇ પટેલ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગત તા. 13/07/2021ના રોજ તેઓ ઓફીસમાં હોઇ સાંજના સમયે પ્રમોદલાલ નામની વ્યક્તિ અન્ય પાંચેક વ્યક્તિ સામે તેમની ઓફીસમાં આવ્યા હતા. જ્યાં પોતે વડાપ્રધાનની સલાહકાર સમીતીમાં ફરજ બજાવતાં હોવાની ઓળખ આપી મંદીરના ગર્ભગૃહમાં દર્શન કરવા જણાવ્યુ હતુ. જેથી ઇન્સ્પેક્ટરે વિશ્વાસમાં આવીને સાતેક વાગ્યે મંદીર બંધ થતુ હોઇ મંદીરના ડ્રાઇવર સાથે તેઓને દર્શન કરવા મોકલ્યા હતા. જે બાદમાં આ ઇસમો દર્શન કરી બારોબાર નીકળી ગયા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતુ કે, 14/07/2021ના રોજ મંદીર ટ્રસ્ટના ઇન્સ્પેક્ટરની આ ઇસમો વિશે પાછળથી ખબર પડતાં ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આ ઇસમોએ અગાઉ કેવડીયા ખાતે પણ આવી ઓળખ આપી પ્રવેશ કર્યાનું પણ ખબર પડી હતી. જેથી વડાપ્રધાનની સલાહકારી સમીતીમાં ફરજ બજાવતાં ન હોવાનું જાણવા છતાં રાજ્યસેવક હોવાનું ખોટુ નામ ધારણ કરી અને ખોટો હોદ્દો ધારણ કરી હોદ્દાની હેસિયત વતી ગુનો કર્યાની ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે બેચરાજી પોલીસે આઇપીસી કલમ 419, 170, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.