બેચરાજી:ઉનાળા પૂર્વે સુકાભઠ્ઠ તળાવો નર્મદાના પાણીથી ભરવા લોકમાંગ
અટલ સમાચાર, બેચરાજી
બહુચરાજી તાલુકામાં ગત ચોમાસામાં અર્ધ દુષ્કાળની સ્થિતિ ચાલી રહી છે. 300એમ.એમથી ઓછો વરસાદ થયો હોવાથી મોટાભાગના તળાવો સુકાભઠ્ઠ ભાસી રહ્યા છે. આથી ગામ અને સીમતળાવો નર્મદાના નીરથી ભરવામાં આવે તો ખેડૂતો, પશુપાલકો અને શ્રમજીવીઓ માટે રાહતરૂપ બની શકે તેમ છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં ઉનાળા પૂર્વે જ પાણી..પાણી..ની બુમ ઉઠી રહી છે. વિસ્તારમાં ગત ચોમાસું નિષ્ફળ ગયું હોવાથી તળાવો ખાલીખમ ભાસી રહ્યા છે. આથી કાલરી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલથી કાલરી, બહુચરાજી, પ્રતાપગઢ અને સાપાવાડા સહિતના ગામોનાં તળાવો ભરવાં લોકમાંગ ઉગ્ર બની છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના ગામ નજીક કેનાલનું નેટવર્ક હોવાથી ગામ અને સીમ તળાવો ભરી શકાય તેમ છે. ગત ચોમાસામાં નહિવત્ વરસાદથી છેલ્લા કેટલાક મહિનાઓથી તળાવો સુકાભઠ્ઠ થઈ ગયા છે. તાલુકાના કેટલાય એવા ગામો છે કે વર્ષોથી કેનાલો તૈયાર હોવા છતાં આજદિન સુધી પાણી આવ્યા નથી. પશુપાલકો પાણી માટે એક ગામથી બીજા ગામ ભટકી રહ્યા છે.
બહુચરાજી તાલુકામાં ક્યાં સુધી પાણીની બુમ રહેશે!કેટલાય ગામોમાં તળાવો ભરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ જ સાંભળતું જ નથી. નેતાઓ માત્ર ચુંટણી ટાણે દેખાતાં હોવાથી ગ્રામજનો નારાજ ચાલી રહ્યા છે.