બેચરાજી: મજૂરો મધ્યપ્રદેશ પહોંચે તે પહેલા જ અટકાવ્યા, શેલ્ટરહોમમાં રખાયાં
અટલ સમાચાર, બેચરાજી(ભુરાજી ઠાકોર)
કોરોના વાયરસના કહેર વચ્ચે હિજરત કરી રહેલા શ્રમિકોને ગત દિવસોએ શંખલપુર શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્રારા તમામ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે, રાધનપુરથી નીકળેલા શ્રમિકો માર્ગમાં કોઇ વહીવટી અધિકારીને ધ્યાને નહિ આવ્યા હોય ? શું રાધનપુરમાંથી દરરોજ આવા શ્રમિકોને કાઢી મૂકવામાં આવતા હશે ? સહિતના સવાલો પંથકમાં ઉઠી રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ પાસેથી લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાધનપુરથી શ્રમિકો હિજરત કરતા જોવા મળ્યા હતા. જેને લઇ મામલતદાર સહિતના વહીવટી તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી તમામને શંખલપુરમાં શેલ્ટરહોમમાં રાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તમામ શ્રમિકો રાધનપુરના બંધવડ ગામના ઇંટવાડામાં કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. જોકે ઇંટવાડાના માલિકે આવી કપરી પરિસ્થિતિમાં તેમને તગડી મુક્યા હોવાથી તેઓ પોતાના વતન મધ્યપ્રદેશ જવા નિકળ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસને લઇ બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમિકોને હિજરત નહિ કરવા કહ્યુ છે. જોકે રાધનુપરના બંધવડ ગામના ઇંટવાડાના માલિકે શ્રમિકોને તગડી મુકતા તેઓ વતન જવા નિકળ્યા હતા. આ દરમ્યાન ચારેક દિવસ પહેલા આસજોલ પાસેથી 10 બાળકો, 6 પુરૂષ અને 9 સ્ત્રીઓ મળી તમામ 25 લોકોને રોકી તાત્કાલિક શંખલપુર શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.