રાધનપુર: મન કી બાતમાં ભાજપના નેતાઓ જ ગેરહાજર: કાર્યકરોને સંભળાવી
અટલ સમાચાર, પાટણ
રાધનપુર ખાતે ભાજપે યુવા મોરચાની સભા ગોઠવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીની મન કી બાતનું પણ ઓનલાઇન પ્રસારણ હતું. જોકે કાર્યક્રમની શરૂઆત વખતે ભાજપના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. જેથી કાર્યકરો અને નાગરિકોએ જ મોદીની વાત સાંભળી હતી. છેલ્લે છેલ્લે પ્રદેશના નેતાઓ કેટલાક કોંગ્રેસીઓને ભાજપમાં જોડી અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા હતા.લોકસભા બેઠક કબજે કરવાના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા રાધનપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળવા 1200થી 1500 કાર્યકરો દોડી આવ્યા હતા. જોકે મન કી બાત સાંભળવાના સમયે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ સહિત પૂર્વ મંત્રી શંકર ચૌધરી ગેરહાજર રહ્યા હતા. મન કી બાત પૂર્ણ થવાના સમયે ભાજપના આગેવાનો સભા સ્થળે પહોંચી વારાફરતી ભાષણ શરૂ કર્યા હતા. આ દરમિયાન સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં જોડયા હતા. જેનાથી કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપે અલ્પેશ ઠાકોરના મતવિસ્તારમાં જંગી સભા સંબોધી અને ભાજપના કાર્યકરોની સંખ્યામાં વધારો કરી મોટો પડકાર આપ્યો છે. સુત્રોએ જણાવ્યું કે રાજ્યના પ્રભારી ઓમ માથુર આવી શક્યાં ન હતાં.