બ્રેકિંગ@અમદાવાદ: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બે પાઇલોટ, ક્રૂ મેમ્બર સહિત 50થી વધુ લોકોના મૃતદેહ મળ્યા

 
દુર્ઘટના
સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ મેસ પર પ્લેન ક્રેશ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં બે પાઇલોટ, ક્રૂ મેમ્બર સહિત 50થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા વિમાન ક્રેશ થઇ ગયું હતું.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટોનું સંચાલન અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવામાં આવ્યું છે.

ઘટનાની ગંભીરને જોતાં સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર તબીબોને ફરજ પર હાજર થવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ સિવિલ આવવા માટે રવાના થઇ ગયા છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે.

આ ઘટનામાં જાનહાનિ કે ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી શક્યો નથી. આ ફ્લાઈટમાં મોટા ભાગના મુસાફરો ગુજરાતી હોવાનું અનુમાન છે. આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલની રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હોવાનું કહેવાય છે. આ દરમિયાન એટલો મોટો ધડાકો થયો હતો કે, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક દર્દીઓના બ્લડપ્રેશર પણ વધી ગયા છે.