બ્રેકિંગ@ગુજરાત: ભાજપના 3-4 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં: લલિત કગથરા
અટલ સમચાર, ડેસ્ક
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈ ગરમાયેલું રાજકારણ રાજસ્થાનના પાટનગર જયપુર સુધી પહોંચી ગયું છે. હૉર્સ ટ્રેડિંગના ડરથી ગુજરાત કૉંગ્રેસે પોતાના 62 ધારાસભ્યોને જયપુર ખાતે શિફ્ટ કર્યા છે. બીજી તરફ, બીજેપી તરફથી કૉંગ્રેસને તોડવાના પ્રયાસ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી અને બીજેપીએ ભ્રષ્ટાચાર આદર્યો હોવાના પણ આરોપ મૂક્યા છે. આજે જયપુર પહોંચેલા ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ તો દાવો કર્યો છે કે, હજુ પણ બીજેપીના ત્રણ કે ચાર ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ કરતાં બીજેપી પ્રજાથી ચૂંટાયેલા નેતાઓના ઈમાન ખરીદવાની દુકાન ચલાવી રહી હોવાનો આરોપ મૂક્યો છે. કૉંગ્રેસના ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ જયપુરમાં પ્રવક્તાએ સાથે વાત કરતાં બીજેપી પર આકરા પ્રહારો કરવાની સાથોસાથ દાવો કર્યો કે બીજેપીના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જેથી રાજ્યસભા ચૂંટણીમાં કંઈ પણ થઈ શકે છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂકતાં કહ્યું કે, પ્રજાના પરસેવાથી કમાયેલા નાણાંની તિજારીને ધોળાદિવસે લૂંટતી સરકાર કાળા ધનના કોથળાથી પ્રજાથી ચૂંટાયેલા નેતાના ઈમાનને ખરીદવાની દુકાન ખોલતી આવી છે. તેનો ભોગ ગુજરાત કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો બન્યા છે. બીજેપીના આ પ્રયાસો છતાંય કૉંગ્રેસના બંને ઉમેદવારો રાજ્યસભા ચૂંટણીમાં જીતશે એવો અમને વિશ્વાસ છે. અમને અમારી ટીમ પર વિશ્વાસ છે.
લલિત કગથરાએ વધુમાં જણાવ્યું કે, બીજેપી પાસે રાજ્યસભા ચૂંટણી માટે પૂરતાં આંકડા નહોતા, અંકગણિત નહોતું, તેમ છતાંય બીજેપીએ ત્રીજો ઉમેદવાર ઊભો રાખ્યો. ત્રીજા ઉમેદવારને ઊભું રાખવા પાછળનું બીજેપીનું ગણિત માત્રને માત્ર કૉંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું હતું. બીજેપીને આ કૃત્ય કરીને ગુજરાતના રાજકારણને, જાહેર જીવનના રાજકારણને નિમ્ન કક્ષાએ લઈ જવાનો ઈરાદો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોને તોડીને-ખરીદીને જે પ્રજાએ મત આપ્યા છે તેમનો વિશ્વાસઘાત કરાવવાનું બીજેપીએ કૃત્ય કર્યું છે.